IND vs ENG: ત્રીજી વનડે પહેલા ટીમ ઇન્ડિયાનો મોટો આંચકો, મેચ વિનિંગ ખેલાડી થયો બહાર

Rudra
2 Min Read

લંડન: ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાને કારણે લોર્ડ્સ ખાતે રમાનારી અંતિમ વનડેમાંથી બહાર થઈ ગયા છે. કાર્ડિફમાં રમાયેલી બીજી વનડે દરમિયાન તેમના પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેમને સારવાર લેવી પડી હતી. ઈજાને કારણે તેઓ ઈંગ્લેન્ડની ઇનિંગ્સ દરમિયાન મેદાન પર ઉતરી શક્યા નહોતા અને હવે તેઓ ત્રીજી મેચમાં પણ ઉપલબ્ધ નહીં રહે. બર્મિંગહામમાં રમાયેલી પ્રથમ વનડેમાં વોશિંગ્ટન સુંદરએ અર્ધસદી ફટકારી હતી અને ભારતને 6 વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

કુલદીપ યાદવને મળી શકે તક

ESPNcricinfoના અહેવાલ મુજબ, વોશિંગ્ટન સુંદરના સ્થાને ત્રીજી અને અંતિમ વનડે માટે કુલદીપ યાદવને પ્લેઇંગ-11માં તક મળી શકે છે. 19 જુલાઈએ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાનારી આ મેચમાં કુલદીપ ભારતના સ્પિન આક્રમણને મજબૂત બનાવી શકે છે. કુલદીપ યાદવે અત્યાર સુધી ભારત માટે 121 વનડેમાં 194 વિકેટ ઝડપી છે અને તે ભારતના સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-10 બોલરોમાં સામેલ છે. તેઓ પોતાની શ્રેષ્ઠ લયમાં હોય ત્યારે જમણા અને ડાબા હાથના બંને પ્રકારના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. જોકે, બેટિંગમાં મર્યાદિત યોગદાનને કારણે ઘણી વખત તેમને ટીમમાં સ્થાન મળતું નથી.

બેટિંગ દરમિયાન થઈ હતી ઈજા

કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી વનડેમાં વોશિંગ્ટન સુંદરએ 5 બોલમાં 2 રન બનાવ્યા હતા. બેટિંગ દરમિયાન તેઓ ફિઝિયોથી પોતાની જાંઘ પર પટ્ટી બંધાવતા જોવા મળ્યા હતા. આઉટ થયા બાદ મેદાનની બહાર જતી વખતે પણ તેઓ અસ્વસ્થ દેખાતા હતા. મેચ બાદ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે જણાવ્યું હતું કે, મિડ-ઓફ તરફ શોટ રમ્યા બાદ દોડીને રન લેતા સમયે વોશિંગ્ટનને ઈજા થઈ હતી. ત્યારબાદની જ બોલ પર તેઓ આઉટ થઈ ગયા હતા. પ્રાથમિક રીતે આ ગંભીર હેમસ્ટ્રિંગ ઈજા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પ્લેઇંગ-11 પસંદ કરવી બનશે પડકાર

ભારતીય ટીમ માટે હવે માત્ર શ્રેણી જીતવાનો જ નહીં, પરંતુ યોગ્ય પ્લેઇંગ-11 પસંદ કરવાનો પણ પડકાર રહેશે. બીજી વનડેમાં કેએલ રાહુલ બીમારીને કારણે રમી શક્યા નહોતા. તેમના સ્થાને રમનાર ઈશાન કિશન ખાસ પ્રભાવ પાડી શક્યા નહોતા. આથી, રવિવારે રમાનારી અંતિમ વનડે માટે ભારતીય ટીમ મેનેજમેન્ટને પ્લેઇંગ-11 પસંદ કરવામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવા પડશે.

Share This Article