અમદાવાદ: શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ કાવ્ય, ભજન, ગીત, નૃત્ય, નાટક, પ્રવચન તેમજ વક્તૃત્વ સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા ગુરુના મહિમાનું સુંદર નિરૂપણ કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ગુરુનું જીવનમાં રહેલું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગુરુ વિના જીવન અધૂરું છે. જેમ માતા-પિતા બાળકને સારા સંસ્કારો આપે છે, તેમ ગુરુ જીવનમાં જ્ઞાન, માર્ગદર્શન અને સદ્વિચાર આપીને વ્યક્તિના વ્યક્તિત્વનું ઘડતર કરે છે.
ગુરુપૂર્ણિમાના પર્વને ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધનું પ્રતિક ગણાવતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રસ્તુતિઓ દ્વારા ગુરુ પ્રત્યેનો આદર, શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સાથે જ ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા, પ્રેમ, હૂંફ અને માર્ગદર્શનના મહત્વને પણ ઉજાગર કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધા અને પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓએ ગુરુના આદર્શોને જીવનમાં અપનાવવાનો સંદેશ આપ્યો હતો, જ્યારે ગીત, ભજન અને નાટ્ય પ્રસ્તુતિઓએ સમગ્ર વાતાવરણને ભક્તિમય અને પ્રેરણાદાયી બનાવ્યું હતું.
ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. શાળા પરિવાર દ્વારા આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, ગુરુ પ્રત્યેનો આદર અને નૈતિક મૂલ્યોનું સિંચન કરે છે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

