અમદાવાદ: ગુરુપૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે અમદાવાદના રાંચરડા સ્થિત શ્રી નીબ કરૌરી મહારાજ મંદિર ખાતે આજે, 29 જુલાઈના રોજ દિવસભર વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણભાઈ ગર્ગના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ ભક્તજનો તેમજ સ્થાનિક નાગરિકોને ગુરુપૂર્ણિમાનો આધ્યાત્મિક લાભ મળે તે હેતુથી યોજવામાં આવ્યો છે.
કાર્યક્રમની શરૂઆત સવારે 8 વાગ્યે 1,111 દૂધની બોટલોના વિતરણથી થશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે 200 શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.
સાંજના કાર્યક્રમોમાં 7 વાગ્યે 21 હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે 8 વાગ્યે ગુરુ ભજન અને પાદુકા દર્શનનો વિશેષ કાર્યક્રમ યોજાશે.
આધ્યાત્મિક કાર્યક્રમોની પૂર્ણાહુતિ રાત્રે 8:45 વાગ્યે મહાઆરતી અને મહાપ્રસાદ સાથે કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તજનો અને શહેરજનોને ગુરુપૂર્ણિમાના આ પવિત્ર અવસરે યોજાનારા કાર્યક્રમોમાં સહભાગી બની ગુરુપૂજન અને આશીર્વાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

