અમદાવાદ: જૌનપુર મહોત્સવ સમિતિ, અમદાવાદ દ્વારા જૌનપુર મહોત્સવ 2026ના ચોથા સંસ્કરણનું આયોજન આગામી 14 જૂન, 2026ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જી હોલ, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ અવસરે સમાજ, શિક્ષણ, સંસ્કૃતિ અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત મહાનુભાવો મુખ્ય અતિથિ તરીકે મહંત દિલીપદાસજી મહારાજ, ધનંજય સિંહ (પૂર્વ સાંસદ), બૃજેશ સિંહ (એમએલસી), અજીત સિંહ (સંરક્ષક) તથા વિનય સિંહ (બ્લોક પ્રમુખ) ઉપસ્થિત રહેશે.
સમિતિના સંયોજક જિતેન્દ્ર સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જૌનપુર મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ જૌનપુરની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, ઇતિહાસ અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો તેમજ અમદાવાદમાં વસવાટ કરતા જૌનપુરવાસીઓને એક મંચ પ્રદાન કરવાનો છે. આ આયોજન સંપૂર્ણપણે સામાજિક અને સાંસ્કૃતિક સ્વરૂપનું છે.
મહોત્સવ દ્વારા સમાજહિતના વિવિધ કાર્યોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેમાં જૌનપુરની સંસ્કૃતિ અને સભ્યતાનો પ્રચાર-પ્રસાર, રોજગાર સહાય, શિક્ષણ સહયોગ, જરૂરિયાતમંદ મહિલાઓને સીવણ મશીનનું વિતરણ, ગરીબ કન્યાઓના લગ્નમાં સહાય, પુસ્તક વિતરણ તેમજ નિઃશુલ્ક તબીબી સેવાઓનો સમાવેશ થાય છે.
સમિતિનું માનવું છે કે સમાજના પ્રબુદ્ધ અને અનુભવી વ્યક્તિઓના માર્ગદર્શનથી સંસ્થાની પ્રવૃત્તિઓને વધુ મજબૂતી મળશે તથા સમાજના લોકોને તેનો લાભ પ્રાપ્ત થશે. જૌનપુર મહોત્સવ સમિતિએ તમામ સમાજબંધુઓ, પ્રતિષ્ઠિત નાગરિકો અને મીડિયા પ્રતિનિધિઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવવા અપીલ કરી છે.
