નવી દિલ્હી: દેશમાં ટૂંક સમયમાં ₹10 અને ₹20ની પોલિમર (પ્લાસ્ટિક) કરન્સી નોટોજોવા મળી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા મોકલાયેલા પ્રસ્તાવને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મંજૂરી આપી છે. સરકારે આ અંગેની મહત્વપૂર્ણ માહિતી સંસદમાં આપી હતી. સરકારના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં આ નોટોને ફિલ્ડ ટ્રાયલ માટે જાહેર કરવામાં આવશે. ટ્રાયલ સફળ થયા બાદ તેને નિયમિત રીતે ચલણમાં લાવવાની યોજના છે.
100-100 કરોડ પ્લાસ્ટિક નોટોનું થશે ટ્રાયલ
સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ, ₹10 અને ₹20ની 100-100 કરોડ (એક-એક અબજ) પોલિમર નોટોનું ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ રહેશે તો ત્યારબાદ આ પ્લાસ્ટિક નોટોને તબક્કાવાર નિયમિત ચલણમાં સામેલ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ચલણમાં રહેલી કાગળની નોટો બંધ કરવામાં આવશે નહીં. પ્લાસ્ટિક નોટો સાથે હાલની કાગળની નોટો પણ ચલણમાં ચાલુ રહેશે. સરકારનું કહેવું છે કે હાલ કાગળની નોટોને સંપૂર્ણપણે પોલિમર નોટોથી બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી.
પ્લાસ્ટિક નોટોના ફાયદા
પોલિમર નોટો પરંપરાગત કાગળની નોટોની તુલનામાં વધુ ટકાઉ માનવામાં આવે છે. તેના મુખ્ય ફાયદાની વાત કરીએ તો તે લાંબા સમય સુધી ઉપયોગમાં રહી શકે છે. નકલી નોટ બનાવવી વધુ મુશ્કેલ બને છે. વારંવાર નવી નોટો છાપવાની જરૂરિયાત ઘટે છે. લાંબા ગાળે છાપકામનો ખર્ચ ઓછો થાય છે. હાલમાં આ સમગ્ર યોજના પ્રારંભિક તબક્કામાં છે. નિયમિત અમલ બાદ જ ડિજિટલ પેમેન્ટ અને રોકડ વ્યવહારો પર તેની અસરનું મૂલ્યાંકન કરવામાં આવશે.
પ્લાસ્ટિક નોટો સૌપ્રથમ ક્યાં શરૂ થઈ?
ભારતમાં પ્રથમ વખત પોલિમર નોટો લાવવાની તૈયારી થઈ રહી છે, પરંતુ વિશ્વમાં સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયાએ 1988માં પ્લાસ્ટિક નોટો રજૂ કરી હતી. હાલમાં વિશ્વના 50થી વધુ દેશોમાં પોલિમર કરન્સીનો ઉપયોગ થાય છે અને તેને વધુ સુરક્ષિત તથા લાંબા સમય સુધી ટકી રહેતી કરન્સી તરીકે માન્યતા મળી છે.
તાજેતરમાં ANIના અહેવાલ અનુસાર, RBIએ ₹10 અને ₹20ની પોલિમર નોટોના પાયલોટ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે વૈશ્વિક સ્તરે અરજીઓ પણ મંગાવવામાં આવી છે. જો ટ્રાયલ સફળ રહેશે તો આગામી સમયમાં ભારતીય બજારમાં કાગળની નોટો સાથે પ્લાસ્ટિકની નોટો પણ ચલણમાં જોવા મળશે.

