આર્ટ ઓફ લિવિંગના બેંગ્લોર સ્થિત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે ગુજરાતના ૨૦૦થી વધુ બાળકો સહિત ૭ હજારથી વધુ બાળકોએ “ઇન્ટ્યુશન ફેસ્ટ” મા ભાગ લીધો, સંસ્થાની ૪૫ વર્ષીય ઉજવણી સમારોહમાં બોલીવૂડ હસ્તીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિ રહી
આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાયેલા સંસ્થાના ૪૫ વર્ષીય ઉજવણીના ભવ્ય સમારોહમાં આધ્યાત્મ, માનવીય મૂલ્યો, સર્જનાત્મકતા અને આંતરિક ક્ષમતાનો અદભુત સંગમ જોવા મળ્યો. કાર્યક્રમમાં ૧૧ હજારથી વધુ બાળકો અને માતા-પિતાઓ ઉપરાંત સિનેમા, શાસન અને જાહેર જીવનની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહ્યું વિશાળ ઇન્ટ્યુશન ફેસ્ટ, જેમાં બાળકો દ્વારા આંખ પર પટ્ટી બાંધી વાંચન, મેમરી એક્ટિવિટીઝ, ઝડપી પેટર્ન ઓળખ, ઇન્ટ્યુટિવ ગેમ્સ અને ચિત્ર નકલ જેવી અદભુત પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ તમામ ક્ષમતાઓ આર્ટ ઓફ લિવિંગના ઇન્ટ્યુશન પ્રોસેસના નિયમિત અભ્યાસથી વિકસિત થઈ હોવાનું જણાવાયું.
કાર્યક્રમની સૌથી આશ્ચર્યજનક ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે ૫૦ બાળકોએ આંખ પર પટ્ટી બાંધી આશ્રમ પરિસરમાં સાયકલ ચલાવી અને સરળતાથી વળાંકો પાર કર્યા. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર ૫૦થી વધુ બાળકો અને ઇન્ટ્યુશન પ્રોસેસના બાળકોનું સન્માન કરવામાં આવ્યું. ગુજરાતમાંથી પણ ૨૦૦થી વધુ બાળકોએ આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ગુજરાતથી ભાગ લેનાર નિત્યા પટેલે પોતાના અનુભવ વિશે જણાવ્યું, “ઇન્ટ્યુશન પ્રોસેસ કર્યા પછી હું દરેક પરિસ્થિતિમાં વધુ શાંત રહી શકું છું. જેના કારણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળે છે. અગાઉ ગણિત વિષયમાં મને મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે ઘણા પ્રશ્નોના ઉકેલ હું ઝડપથી સમજી શકું છું.”
ગુજરાતના અન્ય માતા-પિતાઓએ પણ જણાવ્યું કે કાર્યક્રમ પછી બાળકોમાં એકાગ્રતા, આત્મવિશ્વાસ, યાદશક્તિ અને ભાવનાત્મક સ્થિરતામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
બાળકો અને માતા-પિતાને સંબોધતા વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે કહ્યું, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ના યુગમાં આપણે ‘એબ્સોલ્યુટ ઇન્ટેલિજન્સ’નું પોષણ કરી રહ્યા છીએ. બાળકો સુધી આ જ્ઞાન પહોંચાડીને તમે માનવ વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છો.”
સાંજના કાર્યક્રમમાં કેરળના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ અરલેકર, જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાણી, પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા, અભિનેતા વિક્રાંત મેસ્સી, સુનિલ ગ્રોવર, વિનિત કુમાર સિંહ, સેલિબ્રિટી ફોટોગ્રાફર અવિનાશ ગોવારિકર અને પ્રોડ્યુસર મહાવીર જૈન સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને ગુરુદેવના માનવકલ્યાણ માટેના યોગદાનને બિરદાવ્યું.
આવનારી ફિલ્મ વ્હાઇટમાં ગુરુદેવની ભૂમિકા ભજવનાર અભિનેતા વિક્રાંત મેસ્સીએ કહ્યું, “આ આશ્રમ મારું ઘર છે. મને મારા ગુરુની ભૂમિકા ભજવવાનો અવસર મળ્યો તે મારા માટે આશીર્વાદ સમાન છે.”
ફિલ્મમેકર રાજકુમાર હિરાણીએ જણાવ્યું, “દરેક ફિલ્મ શરૂ કરતાં પહેલાં હું મારી સમગ્ર ટીમને સુદર્શન ક્રિયા શીખવડાવું છું.”
કેરળના રાજ્યપાલ શ્રી અરલેકરે પોતાના સંબોધનમાં જણાવ્યું, “આજના સમયમાં સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપી શકે એવા વિરલ આધ્યાત્મિક નેતાઓમાં ગુરુદેવનો સમાવેશ થાય છે.”
ગુરુદેવે જીવનના આધ્યાત્મિક પરિમાણ અંગે જણાવ્યું, “આખું જીવન એક નાટક છે. દરેક અભિનેતા દિગ્દર્શક પર નજર રાખે છે. વિશ્વના દિગ્દર્શકની નજર પણ તમારા પર છે.”
આ ભવ્ય ઉજવણી માત્ર ૪૫ વર્ષની યાત્રાનો ઉત્સવ નહોતી, પરંતુ આધ્યાત્મ, ઇન્ટ્યુશન, માનસિક સુખાકારી, સર્જનાત્મકતા અને સેવા વચ્ચે વધતા સંબંધનું શક્તિશાળી પ્રતિબિંબ બની.
