AMCના આરોગ્ય વિભાગે ઇબોલા વાયરસના સંભવિત ખતરા સામે સાવચેતીના ભાગરૂપે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે. ખાસ કરીને આફ્રિકાના ઇબોલા પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને શંકાસ્પદ મુસાફરો માટે ક્વોરન્ટાઈન તેમજ આઇસોલેશનની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
AMC હેલ્થ વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન આફ્રિકાથી અમદાવાદ આવેલા કુલ 11 મુસાફરોને હોમ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. તેમાં 9 ભારતીય અને 2 યુગાંડાના નાગરિકોનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ તમામ મુસાફરોની હેલ્થ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરોની ટ્રાવેલ હિસ્ટ્રી અને આરોગ્યની તપાસ શરૂ કરવામાં આવી છે. જો કોઈ મુસાફરમાં ઇબોલાના લક્ષણો જોવા મળશે તો તેમને તરત જ આઇસોલેશનમાં મોકલવામાં આવશે. ખાસ કરીને યુગાંડા અને કોંગો જેવા દેશોમાંથી આવતા લોકો માટે ફરજિયાત ક્વોરન્ટાઈનની વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે.
SVP હોસ્પિટલમાં 60 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ઇબોલા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને અહીં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત વધારાના 30 બેડનો અલગ વોર્ડ પણ તૈયાર રાખવામાં આવ્યો છે. આ સાથે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પણ 60 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી જરૂર પડે ત્યારે તાત્કાલિક સારવાર આપી શકાય.
AMCના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે હાલમાં ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. લક્ષણો ધરાવતા લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે અને સંપર્કમાં આવેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે. વિભાગે જણાવ્યું છે કે વૈશ્વિક સ્તરે ઇબોલાના કેસોમાં વધારો નોંધાતા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
