અમદાવાદ ખાતે ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ મજદૂર સંઘ (GISF) દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અને હાલના સીઈઓના વલણ વિરુદ્ધ ભારે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ હકારાત્મક પરિણામ ન મળતા આજે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. સંઘના આગેવાનોએ ચેતવણી આપી કે આગામી 10 દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો રાજ્યભરના જિલ્લા મથકો પર આવેદનપત્રો સાથે આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરવામાં આવશે.
સંઘના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો હતો કે GISF સંસ્થા હાલમાં અંદાજિત 300થી 400 કરોડ રૂપિયાના ટર્નઓવર ધરાવે છે, છતાં કર્મચારીઓના હિત માટે સરકાર સમક્ષ કોઈ યોગ્ય ભલામણ કરવામાં આવી નથી. અગાઉના સીઈઓ દ્વારા GISFને ગુજરાત સરકારના સાહસમાં સમાવેશ કરવા માટે સરકારને પત્ર લખાયો હતો, પરંતુ હાલના સીઈઓએ આ મુદ્દે કોઈ હકારાત્મક પ્રયાસ કર્યા નથી.
સંઘે વધુમાં આરોપ લગાવ્યો કે ગવર્નિંગ બોડી અને સરકાર દ્વારા મંજૂર કરાયેલ સિનિયોરિટી લિસ્ટને હાલના સીઈઓ અવગણી રહ્યા છે અને પોતાના મનસ્વી નિયમો અમલમાં મૂકી રહ્યા છે. કર્મચારીઓ સાથે જ્ઞાતિવાદ અને ભેદભાવ કરવામાં આવતો હોવાના પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંઘના આગેવાનોએ જણાવ્યું કે કેટલાક કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટી, RSS અને ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલા હોવાથી તેમની સામે મનદુઃખ રાખવામાં આવે છે. પ્રમોશન અટકાવવું, યોગ્ય તપાસ વિના નોટિસ આપવી, લાંબા સમય સુધી સસ્પેન્ડ રાખવા જેવા પગલાં લેવામાં આવતાં હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા.
સંઘે સિનિયર સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થાને લઈને પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કર્મચારીઓને પોતાના પોઈન્ટ ઉપરાંત 50થી 100 કિલોમીટર દૂરના પોઈન્ટોની જવાબદારી સોંપવામાં આવે છે, પરંતુ તે માટે કોઈ ભથ્થું કે વધારાનો પગાર આપવામાં આવતો નથી. કર્મચારીઓએ આ નીતિને ગેરવ્યવહારૂ અને કર્મચારી વિરોધી ગણાવી હતી.
આ ઉપરાંત છેલ્લા એક વર્ષથી કર્મચારીઓને પગાર સ્લીપ આપવાનું પણ બંધ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આ મામલે કોઈ સત્તાવાર પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત ઔદ્યોગિક સુરક્ષા દળ મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ ઉમાકાંતભાઈ કે. પરમાર, મહામંત્રી મહેશભાઈ વી. સોલંકી તેમજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને મીડિયા ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ ચુડાસમા, અમદાવાદ વિભાગ સંગઠન મંત્રી બાબુસિંહ એચ. ગોહિલ અને જિલ્લા મંત્રી અનિલભાઈ કે. પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
સંઘના મીડિયા ઇન્ચાર્જ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જો આગામી 10 દિવસમાં તંત્ર તરફથી કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે તો ભારતીય મજદૂર સંઘની 155થી વધુ સંલગ્ન યુનિયનો સાથે રાજ્યવ્યાપી આંદોલન અને હડતાળ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
