દરેક માતા-પિતા પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આખું જીવન મહેનત અને ત્યાગ કરે છે. પરંતુ જીવનના અંતિમ પડાવે ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય છે, જે દરેકને ભાવુક કરી દે છે. હરિયાણાના સોનીપતમાંથી સામે આવેલી એક આવી જ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જ્યાં એક વૃદ્ધ પિતાના અંતિમ સંસ્કારમાં તેમના પરિવારના કોઈ સભ્ય હાજર રહી શક્યા નહોતા. ત્રણેય દીકરીઓ અલગ-અલગ સ્થળે રહેતી હોવાથી તેઓ અંતિમ સંસ્કારમાં પહોંચી શકી નહોતી અને વીડિયો કોલ મારફતે જ પિતાને અંતિમ વિદાય આપી હતી. આ ઘટનાએ બદલાતા પારિવારિક સંબંધો અને જવાબદારીઓ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
શિવચરણ રામરતન ગુપ્તા મૂળ મુંબઈના રહેવાસી હતા અને કપડાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. વધતી ઉંમરને કારણે તેઓ પત્ની મીના સાથે સોનીપતના વેસ્ટ રામનગર વિસ્તારમાં આવેલી સમાજ કલ્યાણ શિક્ષા સમિતિ સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા હતા. લગભગ દોઢ વર્ષ પહેલાં બંને વૃદ્ધાશ્રમમાં રહેવા લાગ્યા હતા, પરંતુ થોડા સમય પહેલાં તેમની પત્નીનું અવસાન થતાં શિવચરણ એકલા જ વૃદ્ધાશ્રમમાં રહેતા હતા.
શિવચરણ લાંબા સમયથી બીમાર હતા. મંગળવારે વહેલી સવારે લગભગ 3:30 વાગ્યે તેમનું અવસાન થયું. વૃદ્ધાશ્રમના સંચાલકોએ તરત જ તેમની ત્રણેય દીકરીઓને જાણ કરી હતી. સંચાલકોના જણાવ્યા મુજબ, લગભગ 20 દિવસ પહેલાં પણ પિતાની બગડતી તબિયત અંગે દીકરીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ તેમને મળવા આવ્યું નહોતું.
શિવચરણના અવસાન બાદ વૃદ્ધાશ્રમ દ્વારા દીકરીઓને અંતિમ સંસ્કારમાં હાજર રહેવા વિનંતી કરવામાં આવી હતી. જોકે અલગ-અલગ કારણોસર ત્રણેય દીકરીઓ સોનીપત આવી શકી નહોતી. ત્યારબાદ સમગ્ર અંતિમ સંસ્કારની પ્રક્રિયા વીડિયો કોલ દ્વારા તેમને બતાવવામાં આવી. વૃદ્ધાશ્રમના કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ મળીને શિવચરણના અંતિમ સંસ્કાર કર્યા, જ્યારે તેમની દીકરીઓ નેપાળ, ઉત્તર પ્રદેશ અને મુંબઈથી ઓનલાઈન જોડાઈ હતી.
નેપાળમાં રહેતી મોટી દીકરી અનીતા, જે વ્યવસાયે શિક્ષિકા છે, તેમણે ઓનલાઈન રૂ. 5,100 મોકલી પિતાના અંતિમ સંસ્કાર વિધિપૂર્વક કરવાની વિનંતી કરી હતી. અંતિમ સંસ્કાર પૂર્ણ થયા બાદ દીકરીઓએ તેની વીડિયો રેકોર્ડિંગ પણ માગી હતી. વાયરલ વીડિયોમાં એક દીકરી એવું કહેતી પણ સંભળાય છે કે, “પ્રક્રિયામાં કેટલો સમય લાગશે? કારણ કે અમારે જમવાનું છે અને નહાવાનું પણ છે.”
વૃદ્ધાશ્રમના જણાવ્યા અનુસાર, શિવચરણે પોતાની ત્રણેય દીકરીઓને સારું શિક્ષણ મળે તે માટે આખું જીવન મહેનત કરી હતી. તેમને પોતાની દીકરીઓની સિદ્ધિઓ પર ગર્વ હતો. તેમની બે દીકરીઓ શિક્ષિકા બની હતી. મોટી દીકરી અનીતા નેપાળમાં રહે છે, બીજી દીકરી નિશા ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રહે છે, જ્યારે સૌથી નાની દીકરી પ્રિયા મુંબઈમાં પોતાના પરિવાર સાથે રહે છે.
શરૂઆતમાં પરિવારજનોએ અસ્થિઓ સાચવી રાખવા કહ્યું હતું, પરંતુ બાદમાં તેઓ સોનીપત આવી શકશે નહીં તેવું જણાવ્યું. ત્યારબાદ તેમણે વૃદ્ધાશ્રમ સંચાલકોને જ શિવચરણની અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરાવવા વિનંતી કરી હતી.
શિવચરણની અંતિમ ઇચ્છાનું સન્માન કરતાં તેમના અવસાન બાદ આંખોનું દાન કરવામાં આવ્યું હતું. તેમના નેત્રદાનથી જરૂરિયાતમંદ લોકોને નવી દૃષ્ટિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આ રીતે શિવચરણ જીવનભર પોતાના સંતાનો માટે જીવ્યા અને મૃત્યુ બાદ પણ કોઈના જીવનમાં અજવાળું પાથરી ગયા.

