કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું છે કે દેશમાં પ્રદૂષણનું સૌથી મોટું કારણ પેટ્રોલ અને ડીઝલ છે. પરિવહન મંત્રી તરીકે તેમને ખુશી છે કે હવે દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, ઇલેક્ટ્રિક કાર, બસ, ટ્રક અને ઇલેક્ટ્રિક ટ્રેક્ટર સુધી ઉપલબ્ધ થઈ ગયા છે. તેનો મોટો ફાયદો એ થયો છે કે હવે દેશના ખેડૂત માત્ર અન્નદાતા જ નહીં, પરંતુ ઊર્જા અને ઇંધણ ઉત્પાદક પણ બની રહ્યા છે.
નિતિન ગડકરીએ પોતાની કારનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, “હું આજે જે કારમાં આવ્યો છું તે 100 ટકા બાયો-ઇથેનોલથી ચાલે છે. હાલમાં ઇથેનોલની કિંમત લગભગ 65 રૂપિયા પ્રતિ લીટર છે. ખાસ વાત એ છે કે આ કાર ચાલતી વખતે 60 ટકા વીજળી પણ ઉત્પન્ન કરે છે.”
તેમણે જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષથી તેઓ આ જ કારનો ઉપયોગ કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં આ કાર ચલાવવાનો વાસ્તવિક ખર્ચ લગભગ 25 રૂપિયા પ્રતિ લીટર જેટલો પડે છે. આ ઇંધણ સસ્તુ, સંપૂર્ણ સ્વદેશી અને પ્રદૂષણમુક્ત છે. સાથે જ તે ઇંધણ આયાતમાં ઘટાડો કરવામાં પણ મદદરૂપ બને છે. તેમણે કહ્યું કે આવી ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનવાળી ગાડીઓ ટૂંક સમયમાં મોટા પાયે બજારમાં ઉપલબ્ધ થશે.
ગડકરીએ વધુમાં જણાવ્યું કે આ વર્ષે પર્યાવરણ દિવસના અવસરે દિલ્હીમાં એક વિશેષ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન મારુતિ સુઝુકી 100 ટકા ઇથેનોલથી ચાલતી પોતાની કાર લોન્ચ કરશે. હાલમાં ટોયોટા, ટાટા મોટર્સ, મહિન્દ્રા અને સુઝુકી સહિત કુલ 12 કંપનીઓએ આવા વાહનો બજારમાં ઉતારી દીધા છે. ઉપરાંત, ટુ-વ્હીલર વાહનો પણ બજારમાં ઉપલબ્ધ થઈ ગયા છે.
તેમણે લોકોને પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ઉપયોગ ઓછો કરવાની અપીલ પણ કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 87 ટકા ઇંધણ વિદેશોમાંથી આયાત કરે છે. બહારથી આવતું આ ઇંધણ દેશમાં પ્રદૂષણ વધારવા ઉપરાંત આયાત ખર્ચમાં પણ મોટો વધારો કરે છે.
