વાપી-સંજાણની વચ્ચે વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો, ટ્રેનનો આગળનો ભાગ ચૂરચૂર થઈ ગયો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

પીએમ મોદી દ્વારા હોંશભેર શરૂ કરાયેલી વંદેભારત ટ્રેનને ગ્રહણ લાગ્યું છે. વંદેભારત ટ્રેનના અકસ્માતો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. હવે પાંચમીવાર વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. વાપી અને સંજાણની વચ્ચે વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનની વચ્ચે પશુ આવી જતા મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ પાસે થોભાવી હતી. જેથી ટ્રેન થોડી વાર રોકી દેવાઈ હતી. જેના બાદ સામાન્ય મરામત કરીને ટ્રેન રવાના કરાઈ હતી.  વંદેભારત ટ્રેનને આ પહેલા ચાર અકસ્માત નડ્યા હતા, જ્યારે હવે તેમાં વધુ એક ઉમેરો થયો છે. આ સાથે હવે વંદેભારત ટ્રેનના અકસ્માતના બનાવો ૫ થયા છે. દરેક વખતે વંદેભારત ટ્રેનને પશુઓ અડફેટે આવ્યા છે, જે બતાવે છે કે ગુજરાતમાં રખડતા ઢોર કેટલા બેકાબૂ બન્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલા મુંબઈથી અમદાવાદ વચ્ચેની દોડાનારી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. ટ્રેન શરૂ થયાના ચાર દિવસમાં જ વંદેભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ જ મહિનામાં ૬ ઓક્ટોબરના રોજ અમદાવાદથી વટવા વચ્ચેના રુટમાં ચાર ભેંસ વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગે નુકસાન થયું હતું. તો તેના બીજા દિવસે એટલે કે ૭ ઓક્ટોબરના રોજ આણંદ પાસે ગાય અથડાતા વંદેભારત ટ્રેનને અકસ્માત સર્જાયો હતો. જેમાં પણ ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું છે.  તો ત્રીજા અકસ્માતમાં વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન થયું હતું.

Share This Article