નવી દિલહી : લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત હાંસલ કર્યા બાદ આવતીકાલે નરેન્દ્ર મોદી સતત બીજી અવધિ માટે દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઇ રહ્યા છે. મોદીની શપથવિધીની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. નવી કેબિનેટમાં કોને કોને સામેલ કરવામાં આવશે તેને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે. આવતીકાલે સાંજે સાત વાગે મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે. તેમની સાથે અન્ય કેટલાક સભ્યો પણ મંત્રી તરીકે શપથ લેનાર છે.
જો કે આ સંબંધમાં વિગત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રાષ્ટ્રપિત રામનાથ કોવિન્દ આવતીકાલે સાંજે સાંત વાગે મોદી અને અન્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવનાર છે. કેબિનેટમાં ભાજપ પ્રમુખ અમિત શાહને સામેલ કરવાની વાત ચાલી રહી છે. આવી સ્થિતીમાં ભાજપના નવા પ્રમુખની નિમણૂંક કરવામા આવી શકે છે. એમ માનવામાં આવે છે કે, અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મંત્રીમંડળમાં કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. ૧૭મી લોકસભા ચૂંટણી માટે જ્યારે અમિત શાહે ગાંધીનગરમાંથી ઉમેદવારી નોંધાવી ત્યારે એવી ચર્ચા છેડાઈ ગઈ હતી. લોકસભા ચૂંટણીમાં બહુમતિ મળ્યા બાદ મોદીની નવી સરકારમાં અમિત શાહની કોઇ મોટી જવાબદારી રહેશે. અમિત શાહને મોદી કેબિનેટમાં જગ્યા મળે છે કે કેમ તેને લઇને પણ જારદાર ચર્ચા છેડાઈ ગઈ છે. પાર્ટીમાં આ બાબતને લઇને પણ ચર્ચાઓ તીવ્ર બની છે કે જા અમિત શાહ સરકાર કોઇ જવાબદારી સંભાળે છે તો તેમને પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી છોડી દેવી પડશે.
કારણ કે, ભારતીય જનતા પાર્ટી વર્ષોથી એક વ્યક્તિ એક પદના સિદ્ધાંત ઉપર કામ કરે છે. જો અમિત શાહ મંત્રીમંડળમાં આવે તો જેપી નડ્ડા અથવા તો ધર્મેન્દ્ર પ્રધાનમાંથી કોઇ એકને પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.શપથગ્રહણ કાર્યક્રમમાં બિમસ્ટેક દેશોના રાષ્ટ્ર વડાઓ સહિત આઠ દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. બિમસ્ટેકમાં ભારત સહિત દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના સાત દેશો સામેલ છે જે બંગાળની ખાડી સાથે જોડાયેલા છે. આ દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભુટાનનો સમાવેશ થાય છે. ભારતે કિર્ગીસ્તાનના પ્રમુખ અને મોરિશિયસના વડાપ્રધાનને પણ શપથવિધિમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.
આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસના પ્રસંગે મોરિશિયસના વડાપ્રધાન ચીફ ગેસ્ટ તરીકે રહ્યા હતા. ૨૦૧૪માં પોતાની પ્રથમ અવધિ દરમિયાન જ્યારે વડાપ્રધાન તરીકેના શપથ લીધા ત્યારે મોદીએ સાર્ક દેશોના નેતાઓને આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, પડોશી પ્રથમની નીતિ હેઠળ આ તમામ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ વખતે પાકિસ્તાનને આમંત્રણ નહીં આપવાનો નિર્ણય કરાયો છે. એમ માનવામાં આવે છે કે, પુલવામામાં સીઆરપીએફ કેમ્પ ઉપર કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ બંને દેશો વચ્ચે તંગદિલીના પરિણામ સ્વરુપે સરકારે પાકિસ્તાનથી અંતર રાખવાનો નિર્ણય કર્યો છે. શપથવિધીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. શપથવિધીને ભવ્ય બનાવવામાં આવનાર છે.