અઠવાડિયામાં 5 કે 6 દિવસ કામ કર્યા બાદ વ્યક્તિ આતુરતાથી વીક ઓફની રાહ જોતો હોય છે. કારણ કે છેલ્લા 5-6 દિવસની થાક તે દિવસે દૂર કરી શકે. પરંતુ જરા વિચારો કે વીક ઓફ લીધા વિના કોઈ વ્યક્તિ કેટલા દિવસો સુધી કામ કરી શકે? બે-ત્રણ અઠવાડિયા સતત કામ કર્યા બાદ પણ આરામની જરૂરિયાત રહે છે. પરંતુ એક મહિલા એવી હતી, જેને સતત 120 દિવસ સુધી કામ કરવું પડ્યું. એટલું જ નહીં, ઓફિસની સિનિયર તેને વાત-વાતમાં ઠપકો આપતી હતી અને તેની કોઈ ભૂલ ન હોવા છતાં બધાની સામે અપમાનિત કરતી હતી. આવી સ્થિતિમાં તેની માનસિક સ્થિતિ કેવી થઈ હશે, તેનો અંદાજ લગાવી શકાય છે. વર્કપ્લેસ પર થતી હેરાનગતિની આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે આવી જ એક ઘટનાથી કંટાળીને એક મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી દીધું.
આ મામલો કર્ણાટકના મૈસુરનો છે. અહીં નાગેશ્વરી નામની એક મહિલાએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી. તેણે એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં ઓફિસમાં થતી કથિત હેરાનગતિની વાતો લખવામાં આવી હતી. નાગેશ્વરી હિનાકલ વિસ્તારમાં આવેલા એક માર્ટમાં પ્રોડક્ટ પ્રમોટર તરીકે કામ કરતી હતી. તેણે PPMS એજન્સી મારફતે આ નોકરી મેળવી હતી.
તેના પરિવારજનોના જણાવ્યા અનુસાર, નાગેશ્વરી છેલ્લા 15 દિવસથી માનસિક તણાવમાં હતી અને તેણે પરિવારને જણાવ્યું હતું કે કામની જગ્યાએ તેને પરેશાન કરવામાં આવી રહી છે.
કથિત સુસાઇડ નોટમાં નાગેશ્વરીએ પોતાના સિનિયર અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે જે બાબતોમાં તેની કોઈ ભૂલ નહોતી, તેમાં પણ તેને નિશાન બનાવીને પરેશાન કરવામાં આવતી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેને ચાર મહિનાથી અઠવાડિયાની રજા આપવામાં આવી નહોતી અને ઇમરજન્સી રજા પણ આપવામાં આવી નહોતી.
નાગેશ્વરીએ આગળ આરોપ લગાવ્યો હતો કે પોતાની સાથે થઈ રહેલા વ્યવહાર અંગે સવાલ ઉઠાવ્યા બાદ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. અહેવાલો અનુસાર, નાગેશ્વરીએ ડોલી નામની એક સુપરવાઇઝરનો ઉલ્લેખ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે કથિત હેરાનગતિને કારણે જ તેને આ આત્યંતિક પગલું ભરવું પડ્યું. નાગેશ્વરીની માતા રત્નામ્માએ પોતાની દીકરી માટે ન્યાય અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રત્નામ્માએ કહ્યું, “મારી દીકરીને માનસિક રીતે પરેશાન કરવામાં આવતી હતી. તેઓ તેને નાની-નાની બાબતોને લઈને પણ હેરાન કરતા હતા. છેલ્લા 15 દિવસથી મારી દીકરી માનસિક રીતે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. તેણે અમને જણાવ્યું હતું કે તેને કામની જગ્યાએ પરેશાન કરવામાં આવી રહી છે.”
તેમણે આગળ કહ્યું, “પોતાનું જીવન ટૂંકાવતાં પહેલાં તેણે ડોલી નામની એક સુપરવાઇઝરનું નામ લખ્યું હતું. હેરાનગતિ અને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા બાદ મારી દીકરીએ આત્મહત્યા કરી લીધી. મારી દીકરીને ન્યાય અપાવો અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરો.”
આ ઘટના મૈસુરના વિજયનગર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવે છે. પોલીસ નાગેશ્વરીના મોત તેમજ વર્કપ્લેસ પર હેરાનગતિના આરોપોની તપાસ કરી રહી છે.

