ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, અત્યાર સુધી સિઝનનો કુલ 222.10 મિમી એટલે કે સરેરાશ 24.44 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 28 જિલ્લાના 195 તાલુકામાં સરેરાશ 36.33 મિમી વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ
પ્રદેશવાર વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.13 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 27.59 ટકા, મધ્ય ગુજરાતમાં 17.27 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 1.92 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાવાર વરસાદમાં સુરતના પલસાણામાં 462 મિમી, કામરેજમાં 442 મિમી, નવસારીમાં 388 મિમી, સુરત શહેરમાં 358 મિમી અને વલસાડના કપરાડામાં 322 મિમી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું.
ડેમોમાં પાણીની આવક વધી
ભારે વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલમાં રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ 41.17 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવનદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં 65.54 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
ડેમોની સ્થિતિ મુજબ:
5 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે
11 ડેમ હાઈ એલર્ટ પર છે
3 ડેમ એલર્ટ પર છે
11 ડેમ વોર્નિંગ લેવલ પર છે
જ્યારે 109 ડેમમાં હજુ પણ 25 ટકાથી ઓછું પાણી સંગ્રહિત છે.
7,522 લોકોનું સ્થળાંતર, 3,711 લોકોનું રેસ્ક્યુ
ભારે વરસાદને પગલે રાજ્ય સરકાર અને બચાવ દળોએ વ્યાપક કામગીરી હાથ ધરી હતી. અત્યાર સુધીમાં 7,522 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 3,711 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સૌથી વધુ અસર સુરત જિલ્લામાં જોવા મળી હતી, જ્યાં 3,881 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને 3,416 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં બચાવ કામગીરી માટે હાલમાં NDRFની 12 ટીમો અને SDRFની 27 પ્લાટૂન તૈનાત રાખવામાં આવી છે.
425 રસ્તાઓ હજુ પણ બંધ
ભારે વરસાદ બાદ રાજ્યમાં અનેક માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. હાલમાં 425 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. વીજ પુરવઠાની સ્થિતિમાં સુધારો થયો છે અને અસરગ્રસ્ત 3,321 ગામોમાં વીજળી સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જોકે હજુ પણ 240 ફીડર, 1,286 વીજ પોલ અને 82 ટ્રાન્સફોર્મર સેન્ટરનું સમારકામ ચાલુ છે.
માછીમારો માટે 12 જુલાઈ સુધી ચેતવણી
ભારતીય હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ ચેતવણી જાહેર કરી છે. 12 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. જોકે આગામી દિવસોમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમ છતાં ડેમો, નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

