ડૉ. મયુર જોષીની ઉત્તર પ્રદેશના કુશીનગરની વેટલેન્ડ ટેકનિકલ અને વૈજ્ઞાનિક સલાહકાર દેખરેખ સમિતિમાં નિમણૂક

Rudra
1 Min Read

ગાંધીનગર સ્થિત ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, પર્યાવરણવિદ્ અને જળ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત ડૉ. મયુર જોષીની ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં વેટલેન્ડ (આર્દ્રભૂમિ) સંરક્ષણ અને રામસર સાઇટના વિકાસ માટે રચાયેલી (વેટલેન્ડ ટેકનિકલ અને વૈજ્ઞાનિક સલાહકાર દેખરેખ સમિતિમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતના વિવિધ રાજ્યોમાંથી નિષ્ણાતોની પસંદગી કરીને આ સમિતિની રચના જિલ્લા કલેક્ટર, કુશીનગરના અધ્યક્ષસ્થાને કરવામાં આવી છે.

આ સમિતિનો મુખ્ય હેતુ કુશીનગર જિલ્લાના વેટલેન્ડનું વૈજ્ઞાનિક સંરક્ષણ, જળની ગુણવત્તાનું મૂલ્યાંકન, પરિસ્થિતિતંત્રનું પુનઃસ્થાપન, રામસર સાઇટ તરીકે વિકાસ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવો તેમજ લાંબા ગાળાના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે માર્ગદર્શન પૂરું પાડવાનો છે.

ડૉ. મયુર જોષી છેલ્લા ઘણા વર્ષોથી જળ સંરક્ષણ, આર્દ્રભૂમિ સંરક્ષણ, ભારતીય જ્ઞાન પરંપરા, પર્યાવરણ અને ટકાઉ વિકાસના ક્ષેત્રોમાં સક્રિયપણે કાર્યરત છે. તેમના નેતૃત્વ હેઠળ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા “ભારત ડિસ્કોર્સિસ” જેવી રાષ્ટ્રીય સ્તરની જ્ઞાન-સંવાદ શ્રેણી ઉપરાંત જળ સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ અને જનભાગીદારીને પ્રોત્સાહન આપતા અનેક કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.

ડૉ. જોષીની આ નિમણૂક માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના જળ અને વેટલેન્ડ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સંશોધકો, નિષ્ણાતો અને સ્વૈચ્છિક સંસ્થાઓ માટે પણ ગૌરવની બાબત છે. તેમની વૈજ્ઞાનિક દૃષ્ટિ, નીતિગત સમજણ અને સમાજ આધારિત સંરક્ષણના અનુભવો કુશીનગર જિલ્લાના વેટલેન્ડના સંરક્ષણ અને રામસર સાઇટ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

Share This Article