ગુજરાતમાં ‘ભારત ટેક્સી’ સેવાનો પ્રારંભ, અમિત શાહે ગાંધીનગરથી કર્યો શુભારંભ

Rudra
3 Min Read

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રવિવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સહકારિતા આધારિત મોબિલિટી પ્લેટફોર્મ ‘ભારત ટેક્સી’નો ગુજરાતમાં સત્તાવાર શુભારંભ કરાવ્યો. આ સેવા હવે અમદાવાદ, સુરત, રાજકોટ સહિત રાજ્યના તમામ મોટા શહેરોમાં ટૂ-વ્હીલર, ઓટો અને ફોર-વ્હીલર એમ ત્રણેય કેટેગરીમાં ઉપલબ્ધ બનશે.

કાર્યક્રમ દરમિયાન અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને મોબિલિટી ક્ષેત્રમાં સાકાર કરવા માટે ભારત ટેક્સી એક મહત્વપૂર્ણ પહેલ છે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ સારથીઓને માત્ર ડ્રાઇવર નહીં પરંતુ સહકારી સંસ્થાના માલિક અને ભાગીદાર તરીકે સન્માન આપવાનો છે.

તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાં 7 લાખથી વધુ સારથીઓ ભારત ટેક્સી સાથે જોડાઈ ચૂક્યા છે અને લગભગ 37 લાખ ગ્રાહકો આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે. આ મોડલ હેઠળ સારથીઓને માલિકી હિસ્સેદારી, યોગ્ય આવક, વીમા સુરક્ષા, ધિરાણની સુવિધા તેમજ વ્યવસાય વિસ્તરણમાં સહયોગ મળશે.

અમિત શાહે ખાનગી એપ આધારિત ટેક્સી કંપનીઓ પર નિશાન સાધતા કહ્યું કે કેટલીક કંપનીઓ ભારત ટેક્સીની એન્ટ્રી બાદ અસ્થાયી રીતે ભાડાં ઘટાડીને બજારમાં સ્પર્ધા ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમનો હેતુ માત્ર ભારત ટેક્સીને નબળી પાડવાનો છે જેથી બાદમાં ફરી મનસ્વી રીતે ભાડાં અને કમિશન નક્કી કરી શકાય. જોકે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત ટેક્સી આ સ્પર્ધાથી ડરશે નહીં અને સહકારિતાના મોડલ સાથે મજબૂતીથી આગળ વધશે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત ટેક્સીમાં સારથી માત્ર ડ્રાઇવર નથી પરંતુ સહકારી સંસ્થાના શેરહોલ્ડર છે. આ મોડલ શોષણમુક્ત, પારદર્શક અને ન્યાયસંગત વ્યવસ્થા ઉભી કરવા માટે બનાવવામાં આવ્યું છે, જ્યાં સારથીઓના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન ભારત ટેક્સી દ્વારા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, ગુજરાત ટ્રાફિક પોલીસ, અમદાવાદ અને સુરત એરપોર્ટ, પશ્ચિમ રેલવે સહિત અનેક સંસ્થાઓ સાથે સમજૂતી કરારો (MoU) પણ કરવામાં આવ્યા. જેના કારણે એરપોર્ટ, મેટ્રો, રેલવે અને અન્ય જાહેર પરિવહન સેવાઓ સાથે ભારત ટેક્સીનું એકીકરણ વધુ મજબૂત બનશે.

અમિત શાહે જણાવ્યું કે આગામી બે વર્ષમાં ભારત ટેક્સી દેશના 500થી વધુ શહેરો અને નગરોમાં પોતાની સેવા શરૂ કરશે. જ્યારે 31 જુલાઈ પહેલાં દેશના સાત મોટા શહેરોમાં આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના મંત્રીઓ, સહકારિતા વિભાગના અધિકારીઓ, ભારત ટેક્સીના અધ્યક્ષ ડૉ. જયેન મહેતા તેમજ મોટી સંખ્યામાં સારથીઓ અને સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સારથીઓને શેર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ ભારત ટેક્સી ગુજરાતમાં સહકારિતા આધારિત પરિવહન વ્યવસ્થાને નવી દિશા આપશે અને સારથીઓના સન્માન, સુરક્ષા તથા સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.

Share This Article