ગાંધીનગર ખાતે ‘આત્મનિર્ભર પંચાયત’ કાર્યક્રમ પર એક દિવસીય રાજ્ય સ્તરીય આઉટરીચ વર્કશોપ સંપન્ન

Rudra
10 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે હવે પંચાયતોએ વિવિધ સ્થાનિક પ્રકલ્પો-પ્રોજેક્ટ્સ થકી આવકના સ્ત્રોત ઊભા કરીને આત્મનિર્ભર પંચાયત બનવાની દિશામાં કાર્ય કરવું પડશે. આ પ્રોજેક્ટ્સ સાકાર કરવા માટે પંચાયત મંત્રાલય દ્વારા વિવિધ તકનીકી માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ પંચાયતોને આર્થિક રીતે સ્વાવલંબી, નવીન અને વિકાસલક્ષી બનાવવાનો છે, તેમ પંચાયતી રાજ મંત્રાલયના સચિવ વિવેક ભારદ્વાજે ગાંધીનગર ખાતે ‘આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ’ વર્કશોપમાં જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના મજબૂત પગલા સ્વરૂપે, ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા ‘આત્મનિર્ભર પંચાયત’ કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગર સ્થિત હોટેલ લીલા ખાતે એક દિવસીય રાજ્યસ્તરીય આઉટરીચ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગુજરાતનાં પંચાયત વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
Ad imageAd image

સચિવ ભારદ્વાજે વધુમાં કહ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન ભારતે માત્ર પોતાની જરૂરિયાતો પૂરી કરી નહોતી, પરંતુ ‘વેક્સિન મૈત્રી’ અભિયાન દ્વારા અંદાજે ૯૬ દેશોને કરોડો વેક્સિન ડોઝ પણ મોકલ્યા હતા. આ જ આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારવા માટે હવે પંચાયતોને પણ વિવિધ સ્થાનિક પ્રકલ્પો શરૂ કરીને આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતની આઝાદી પછીના શરૂઆતના વર્ષો ખૂબ જ પડકારજનક રહ્યા હતા. દેશ ભાગલા, યુદ્ધો, દુષ્કાળ અને અનાજની અછત જેવી ગંભીર સમસ્યાઓમાંથી પસાર થયો હતો, જેના કારણે ભારતને વિદેશી સહાય પર નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ સમય જતાં દેશે આત્મનિર્ભરતા તરફ મજબૂત પગલાં ભર્યા. વર્ષ ૨૦૦૩માં ભારતે મોટા ભાગની વિદેશી સહાય લેવાનું બંધ કર્યું અને આફ્રિકાના કેટલાક દેશોનું દેવું પણ માફ કર્યું, તેમ તેમણે ઉમેર્યું હતું.

સચિવ ભારદ્વાજે કહ્યું હતું કે, પંચાયતોએ પોતાની આવક વધારવા માટે સ્થાનિક સંસાધનો અને વિશેષતાઓમાંથી આર્થિક ઉપાર્જન મેળવવું જોઈએ. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ રેખા, કર્કવૃત્ત, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અથવા દરિયાકિનારા જેવા સ્થળોને ઉદાહરણ આપીને તેમણે કહ્યું કે, યોગ્ય આયોજન અને નવીન વિચારસરણી દ્વારા પ્રવાસન અને અન્ય પ્રવૃત્તિઓથી મોટી આવક અને રોજગારી ઊભી કરી શકાય છે. આમ, પંચાયતો સરકારની ગ્રાન્ટ પર નિર્ભર રહેવાને બદલે પોતાના સંસાધનોના આધારે આત્મનિર્ભર અને સમૃદ્ધ બનશે. આપણા દેશમાં આવી ઘણી બધી ગ્રામ પંચાયતો અને બ્લોક પંચાયતો છે, જેમના પ્રોજેક્ટ્સ અત્યારે પણ સારી એવી આવક ઊભી કરી રહ્યા છે.

પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના પંચાયત રાજ મંત્રાલય દ્વારા ‘આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ’ હેઠળ ગુજરાતની ૭૧ પંચાયતોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. ‘આત્મનિર્ભર પંચાયત’ તરીકે પસંદગી પામી છે તે ગૌરવ સમાન છે. પરંતુ આપણે ૭૧ પંચાયત સુધી મર્યાદિત નથી રહેવાનું પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની તમામ ૧૪ હજારથી વધુ પંચાયતને ‘આત્મનિર્ભર પંચાયત’ બનાવવા સંયુક્ત પ્રયાસો કરવાના છે. આપણી શાસન વ્યવસ્થામાં સૌથી ઉપર કેન્દ્ર, વચ્ચે રાજ્ય અને સૌથી નીચે લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટલે કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ છે. વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત-૨૦૪૭’નું સ્વપ્ન માત્ર કેન્દ્ર કે રાજ્ય સરકારો પ્રયત્નોથી પૂર્ણ ન થઈ શકે જ્યાં સુધી જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો એટલી જ ગતિ અને ઊર્જા સાથે આ દોડમાં સહભાગી નહીં થાય.

અગ્ર સચિવ દ્વિવેદીએ કહ્યું હતું કે, પંચાયતો માત્ર ‘વહીવટી એકમો’ નહીં પરંતુ લોકશાહીના જીવંત એકમો છે. પંચાયતોએ કેન્દ્ર કે રાજ્ય તરફથી આવતી ગ્રાન્ટ-અનુદાન વાપરવા અને સુવિધાઓ પૂરી પાડવાની સાથે સાથે લોકશાહીની સૌથી મહત્વની પાઠશાળા છે. ગ્રામીણ સ્તરેથી જ નેતૃત્વ તૈયાર થઈને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા સુધી પહોંચે છે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. ગ્રામીણ સ્તરે સુવિધાઓ શહેર જેવી હોવી જોઈએ. આજનો ગ્રામીણ નાગરિક પણ ઉંચી આકાંક્ષાઓ-અપેક્ષાઓ ધરાવે છે. અમદાવાદ જેવા વિકસિત શહેરોમાં જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય, તેવી જ ‘ક્વોલિટી ઓફ લાઈફ’-સુવિધાઓ ગામડાના નાગરિકોને પણ મળવી જોઈએ, તેવી તેમની અપેક્ષા છે.

તેમણે કહ્યું કે, માત્ર સરકારી ગ્રાન્ટની મર્યાદામાં રહીને કામ કરવું એ એક ‘મેનેજર’નું કામ છે, જ્યારે આપણી મર્યાદાઓમાંથી બહાર આવીને ગામને આત્મનિર્ભર બનાવવું એ એક ‘લીડર’નું કામ છે. આપણે આત્મનિર્ભર પંચાયતનો વ્યાપ વધારવો પડશે. કેન્દ્ર સરકારની આ યોજનામાં ભલે શરૂઆતમાં અમુક માપદંડો જેમ કે ગ્રામ પંચાયતની આવક રૂ. ૫૦ લાખ કે તાલુકાની રૂ. ૧ કરોડના આધારે ગુજરાતની ૭૧ પંચાયતોની પ્રાથમિક પસંદગી થઈ હોય, પણ આ વિચાર માત્ર ત્યાં સુધી સીમિત ન રહેવો જોઈએ. જો કોઈ પંચાયત આજે રૂ. ૪૯ લાખ કે રૂ. ૯૫ લાખ પર હોય, તો તે થોડાક વધુ પ્રયત્નોથી આ લક્ષ્યને પાર કરી શકે છે. આ આત્મનિર્ભરતાના મંત્રને ગુજરાતની તમામ ૧૪ હજાર કરતાં વધુ પંચાયતો સુધી પહોંચાડવા અગ્ર સચિવશ્રીએ આહ્વાન કર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, આ એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ પંચાયતને આત્મનિર્ભર બનાવવાનો એક ‘જીવંત વિચાર’ છે. ૨૦ વર્ષ પછી ભારત દેશ જ્યારે તેનો અમૃત કાળ એટલે કે પોતાની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ કરશે, ત્યારે દરેક સરપંચ, તલાટી અને અધિકારી ગર્વથી કહી શકશે કે રાષ્ટ્ર નિર્માણમાં તેમના ગામ અને વિસ્તારનું પણ અમૂલ્ય યોગદાન રહ્યું છે.

આ પ્રસંગે અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગ્રામ પંચાયતોને આર્થિક રીતે વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે “આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમ”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામ પંચાયતોની પોતાની આવકમાં વધારો કરી તેમને માત્ર કેન્દ્ર અને રાજ્યની ગ્રાન્ટ્સ પર નિર્ભર રહેવાને બદલે સ્વનિર્ભર બનાવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગુજરાતમાં ૭૧ ગ્રામ પંચાયતોની ‘આત્મનિર્ભર પંચાયત’ તરીકે પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે.

દહિયાએ વધુમાં કહ્યું હતું કે, જેમ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ મજબૂત બજેટિંગ અને સ્વતંત્ર આવકના સ્ત્રોતો દ્વારા સફળતાપૂર્વક કાર્યરત છે, તેવી જ રીતે ગ્રામ પંચાયતોને પણ મજબૂત નાણાકીય વ્યવસ્થાપન તરફ આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યની તમામ ૧૪,૬૫૦ ગ્રામ પંચાયતો આત્મનિર્ભર બને તેવા દીર્ઘદૃષ્ટિપૂર્ણ લક્ષ્ય સાથે આ પહેલ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર-રાજ્ય સરકાર અને નાબાર્ડના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ ગ્રામીણ વિકાસમાં નવી દિશા પ્રસ્થાપિત કરશે તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને વધુ સશક્ત, જવાબદાર અને વિકાસલક્ષી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

નાબાર્ડના રિજિનલ મેનેજર ડૉ. પ્રદીપે જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા ગ્રામ વિકાસ, કૃષિ સમૃદ્ધિ અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ, બજાર, પાણીની સુવિધાઓ અને અન્ય માળખાગત વિકાસ માટે નાબાર્ડ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીનો પ્રસાર, જળસંચય અને સિંચાઈની સુવિધાઓના વિકાસ દ્વારા ખેડૂતોની ઉત્પાદન ક્ષમતા વધારવાના અનેક સફળ પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. આમ, નાબાર્ડના આ પ્રયાસોથી ગામડાઓમાં કનેક્ટિવિટી, રોજગારી અને આર્થિક વિકાસને નવી દિશા મળી છે.

તેમણે વધુમાં કહ્યું કે, નાબાર્ડે સહકારી ક્ષેત્ર, જિલ્લા સહકારી બેંકો, કૃષિ ઉત્પાદન સંગઠનો અને મહિલા સ્વસહાય જૂથોને સશક્ત બનાવવા માટે પણ વિશેષ કામગીરી કરી છે. ગ્રામ પંચાયતો પોતાની આવકના સ્ત્રોતો વિકસાવી શકે તે માટે નાબાર્ડ દ્વારા વિવિધ વિકાસ યોજનાઓ અને ડીપીઆર તૈયાર કરવામાં આવ્યા છે.

ગ્રામ હાટ, ફિલ્ટર કરાયેલ પીવાના પાણીની સુવિધા, કૃષિ ઉત્પાદનોનું સંગ્રહ અને પ્રોસેસિંગ, નાના ઉદ્યોગો, ગોડાઉન નિર્માણ અને કોમોડિટી આધારિત વ્યવસાય જેવા મોડલ્સ દ્વારા ગ્રામ પંચાયતોને સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આવા આવક આધારિત પ્રયોગોથી ગ્રામ પંચાયતો માત્ર સરકારી ગ્રાન્ટ્સ પર નિર્ભર રહેવાને બદલે પોતાના સંસાધનો દ્વારા વિકાસ કાર્યોને ગતિ આપી શકશે અને ગામડાઓમાં સર્વાંગી વિકાસનું નવું મોડલ ઊભું કરી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે હુડકોના અધિકારી શ્રી વિમલકુમાર શર્માએ કહ્યું હતું કે, ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર બનાવવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ, ટેકનિકલ માર્ગદર્શન અને નાણાકીય આયોજનમાં સહયોગ આપવા હુડકો સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. આ સંસ્થાએ તાજેતરમાં શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે સફળતાપૂર્વક વિવિધ વિકાસ કાર્યક્રમો અમલમાં મૂક્યા છે અને હવે એ જ દિશામાં ગ્રામ પંચાયતો માટે પણ સહયોગ વધારવામાં આવી રહ્યો છે. સંસ્થા દ્વારા ગ્રામ પંચાયતોને આવકના સ્ત્રોત મળે એવા પ્રોજેક્ટ્સ તૈયાર કરવા, તેમની તકનીકી વ્યવહારુતા નક્કી કરવા, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા તેમજ નાણાકીય સંસ્થાઓ પાસેથી ફંડિંગ મેળવવા માટે જરૂરી માર્ગદર્શન અને નિષ્ણાંત સહાય પૂરી પાડવામાં આવશે.

આ ઉપરાંત હુડકો દ્વારા ગ્રામ પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ટેકનિકલ, નાણાકીય અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ સંબંધિત વર્કશોપ, તાલીમ કાર્યક્રમો અને વિશેષ સત્રોનું આયોજન પણ કરવામાં આવશે. આત્મનિર્ભર પંચાયતના વિઝનને સાકાર કરવા માટે ગ્રામ પંચાયતો પોતાની આવક ઊભી કરી શકે, નફાકારક અને ટકાઉ પ્રોજેક્ટ્સ વિકસાવી શકે તથા વિકાસ કાર્યોને સ્વયં આગળ વધારી શકે તે માટે તમામ પ્રકારનું માર્ગદર્શન અને સહયોગ ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેમ શ્રી શર્માએ ઉમેર્યું હતું.

વર્કશોપ દરમિયાન આત્મનિર્ભર પંચાયત કાર્યક્રમના વિઝન, ઉદ્દેશ્યો, ટેકનિકલ રોડમેપ અને અપેક્ષિત પરિણામોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આત્મનિર્ભર પંચાયત પોર્ટલનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ સહભાગીઓ સાથે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું.

આ કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રીમતી મુક્તા શેખર, પંચાયતી રાજ મંત્રાલયના અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, તલાટી-કમ-મંત્રીઓ, સરપંચો, નાબાર્ડના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. હાઇબ્રિડ મોડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યની ગ્રામ અને તાલુકા પંચાયતના અધિકારીઓ-પદાધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાયા હતા.

Share This Article