‘ઈસ્લામ ધર્મ મેં મારી મરજીથી અપનાવ્યો હતો,’ બે લગ્ન કરનાર ટીવી એક્ટ્રસે કર્યો ચોંકાવનારો ખુલાસો

Rudra
3 Min Read

ટીવી એક્ટ્રેસ ચાહત ખન્ના આજકાલ નાના પડદા પર ઓછી જોવા મળે છે, પરંતુ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ્સને કારણે સતત ચર્ચામાં રહે છે. તેને એકતા કપૂરના લોકપ્રિય સીરિયલ બડે અચ્છે લગતે હૈંથી ઓળખ મળી હતી. તેની પર્સનલ લાઈફ પણ એક સમયગાળા દરમિયાન ખૂબ ચર્ચામાં રહી હતી. હવે એક્ટ્રેસે પોતાના લગ્ન અને છૂટાછેડા વિશે જાહેરમાં વાત કરી છે.

ચાહત ખન્નાએ યુટ્યુબર સુભોજીત ઘોષના ચેનલ પર કહ્યું કે ઘણી વાર તેમની વાતોને ખોટા અર્થમાં રજૂ કરવામાં આવે છે, જેના કારણે તેમના વિશે અફવાઓ ફેલાય છે. તેણે સ્પષ્ટ કર્યું કે તેના બીજા પતિ ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા ત્યારે તેણે પોતાની ઈચ્છાથી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. પરંતુ છૂટાછેડા બાદ તેણે ફરી હિંદુ ધર્મ અપનાવ્યો.

ચાહતે કહ્યું, “મારી વાતોને હંમેશા ખોટી રીતે સમજવામાં આવે છે. આજે પણ જો હું કંઈ કહું તો મારા શબ્દોને અલગ રીતે રજૂ કરવામાં આવે છે. હું ખૂબ સેક્યુલર વ્યક્તિ છું. હું ઈદ અને દિવાળી બંને તહેવારો સમાન આનંદથી ઉજવું છું. મેં મારી મરજીથી ઇસ્લામ સ્વીકાર્યો હતો. ઘણા લોકો કહે છે કે મને જબરદસ્તી ધર્મ બદલાવ્યો હતો, પરંતુ મેં ક્યારેય એવું કહ્યું નથી. હું ઇસ્લામમાં પણ વિશ્વાસ રાખું છું અને સનાતન ધર્મમાં પણ.”

તેણે આગળ કહ્યું કે જ્યારે તેમની પર્સનલ લાઈફને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે, ત્યારે તેમને ખૂબ દુઃખ થાય છે. નામ ખરાબ થવાના કારણે તેને કામ મેળવવામાં મુશ્કેલી પડે છે. અંતમાં તેણે ઉમેર્યું કે સમય સાથે તેમને જીવન અને લોકો વિશે વધુ સમજ મળી છે અને હવે આવી નાની બાબતો તેને ખૂબ નાની લાગે છે.

ચાહત ખન્નાએ જીવનમાં બે લગ્ન કર્યા છે. તેમની પહેલી લગ્ન 2006માં બિઝનેસમેન ભારત નરસિંઘાનિયા સાથે થયા હતા, પરંતુ એક વર્ષમાં જ બંને અલગ થઈ ગયા. ત્યારબાદ 2013માં તેમણે ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા. આ લગ્નમાંથી તેને બે દીકરીઓ છે, પરંતુ 2018માં બંને અલગ થઈ ગયા. ચાહતે પોતાના પૂર્વ પતિ પર શારીરિક અને માનસિક હેરાનગતિના આરોપ લગાવ્યા હતા.

આ પછી તેનું નામ પ્રસિદ્ધ ગાયક મીકા સિંહ સાથે પણ જોડાયું હતું. લોકડાઉન દરમિયાન બંને સોશિયલ મીડિયા પર રોમેન્ટિક પોસ્ટ્સ શેર કરતા હતા, પરંતુ પછી ખબર પડી કે તે એક મ્યુઝિક વીડિયોના પ્રમોશનનો ભાગ હતો.

Share This Article