મ્યાનમારમાં અર્થવ્યવસ્થા પડી ભાંડી, પેટ ભરવા ડોક્ટરો અને નર્સો દેહવેપાર કરવા માટે મજબૂર બન્યાં

Rudra
2 Min Read

ફેબ્રુઆરી 2021માં મ્યાનમારની સેનાએ તખ્તાપલટ કરીને સત્તા કબજે કરી. આ સાથે દેશની અર્થવ્યવસ્થા વધુ બગડી, જે અગાઉ કોવિડ મહામારીના કારણે ખરાબ સ્થિતિમાં હતી. દેશમાં મોંઘવારી આસમાનને સ્પર્શવા લાગી. સામાન્ય લોકો માટે જરૂરિયાતની વસ્તુઓ ખરીદવી પણ મુશ્કેલ બની ગઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, સ્થિતિ એવી બની ગઈ છે કે ડોક્ટરી જેવા વ્યવસાયમાં કામ કરતા લોકોના પગારમાં પણ ઘટાડો થવા લાગ્યો. તેઓને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ થવા લાગી. સંજોગો એવા સર્જાયા છે કે તેઓ નાણાકીય કટોકટીનો સામનો કરવા માટે દેહવ્યાપાર કરવા મજબૂર બન્યા છે. બીજી વિચારવા જેવી બાબત એ છે કે મ્યાનમારમાં દેહવ્યાપાર ગેરકાયદે હોવા છતાં આટલા મોટા પાયા પર દેહવ્યાપાર થઈ રહ્યો છે. સ્થિતિ એવી છે કે ‘ડેટ ગર્લ્સ’ સરળતાથી રસ્તાઓ પર ફરતી જોવા મળી રહે છે.

મહિલા અધિકાર માટે કામ કરતા કાર્યકરોએ જણાવ્યું હતું કે શિક્ષિત મહિલાઓ પણ હવે આજીવિકા મેળવવા માટે દેહવ્યાપાર તરફ વળી છે. જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તખ્તાપલટ અને તેના પછીના ગૃહ યુદ્ધે મ્યાનમારની અર્થવ્યવસ્થાને તબાહ કરી નાખી છે. આ વર્ષે મોંઘવારી દર 26 ટકા વધ્યો છે. વીજળીની અછતના કારણે કારખાનાઓ ઠપ્પ થઈ ગયા, કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને ચીન અને થાઈલેન્ડ નજીકના વિસ્તારોમાં યુદ્ધે સીમાપારનો વેપાર નષ્ટ કર્યો વર્લ્ડ બેંકના જણાવ્યા અનુસાર, મ્યાનમારના લગભગ અડધા લોકો ગરીબીમાં જીવે છે. અહીંના લોકો અને ખાસ કરીને મહિલાઓની મુશ્કેલીઓનો કોઈ પાર નથી.

Share This Article