ગીરના ૮ સિંહોને યુપીના ગોરખપુર ઝૂમાં મોકલાશે

News KhabarPatri
2 Min Read

અમદાવાદ : માત્ર ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા અને ગુજરાતના ગૌરવ સમા ગીરના આઠ એશિયાટીક લાયન(સિંહ)ને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં મોકલવામાં આવશે. ગીરના આ આઠ સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુર ઝુમાં મોકલવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી પણ આપી દીધી છે. ૮ સિંહોમાં બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં આ સિંહોને ગોરખપુર વિમાન મારફતે લઈ જવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જા કે, આપણા ગીરના આઠ સિંહોને ગોરખપુર ઝુમાં ખસેડવાની મંજૂરી અપાતાં ગુજરાતના કેટલાક સિંહપ્રેમીઓ અને વન્યપ્રેમીઓમાં નારાજગીની લાગણી પણ ફેલાવા પામી છે.

કારણ કે, થોડા સમય પહેલાં જ ગીરમાં ૪૦થી વધુ સિંહોના તબક્કાવાર મૃત્યુના કારણે બહુ મોટો ઉહાપોહ મચ્યો હતો અને ખુદ ગુજરાત હાઇકોર્ટે તેની ગંભીર નોંધ લઇ સિંહોના રક્ષણ અને તેમની સુરક્ષા માટેના અસરકારક ઉપાયો કરવાના મહત્વના આદેશો જારી કર્યા હતા. તેથી આપણા સિંહ ઓછા થવાની ગણતરી સાથે સિંહપ્રેમીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

હવે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ૮ સિંહના સ્થળાંતરની મંજૂરી મળ્યાં બાદ હવે ગોરખપુરના શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહો માટે ૨૭૫૦ વર્ગ મીટરનું પાંજરું બનાવવામાં આવશે. ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ થઇ રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય ૧૨૧.૩૪૨ એકરમાં ફેલાયેલુ હશે, જેમાં ૩૩ મોટા પાંજરા હશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી વચ્ચે જૂનાગઢના શક્કરબાગ ઝૂના ૧૧ સિંહ ઉત્તર પ્રદેશને આપવાની સહમતિ થઇ હતી. જે બાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ૮ સિંહના સ્થળાંતરની મંજૂરી આપવામાં આવી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *