યુગપત્રી ૨૧: તેરી ઘડકનો સે હૈ જિંદગી મેરી…

યુગપત્રી: તેરી ઘડકનો સે હૈ જિંદગી મેરી…


મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું હતું કે આપણા ગમતા વ્યક્તિનું સ્મિત આપણાં માટે શક્તિ બની જાય છે. એ આપણી સાથે હોય તો આપણે સ્વર્ગ જેવું અનુભવીએ છીએ. હવે જોઈએ આગળ,

तेरी धड़कनों से है ज़िन्दगी मेरी,
ख़्वाहिशें तेरी अब दुआएं मेरी..
कितना अनोखा बंधन है ये,
तेरी मेरी जान जो एक हुई,
लौटूंगा यहां तेरे पास मैं हाँ,
वादा है मेरा मर भी जाऊं कहीं,
जो तू मेरा हमदर्द है,
जो तू मेरा हमदर्द है,
सुहाना हर दर्द है,
जो तू मेरा हमदर्द है,
हमदर्द है, हमदर्द है.

મિત્રો, મનોવિજ્ઞાન એવું કહે છે કે, જ્યારે આપણે કોઈક  સાથે મનથી જોડાઇએ છીએ ને ત્યારે-ત્યારે આપણા અને એના વિચારોની ફ્રિક્વંસી એક જેવી થઈ જાય છે. એટલા માટે ઘણી વાર એવું બનતું હોય છે કે  આપણે કોઈકને યાદ કરતા હોય અને એનો ફોન આવે કે એ મળવા આવે. એવું એટલા માટે થાય છે કે આપણા અજ્ઞાત મનમાંથી ઉઠેલો વિચાર એના અજ્ઞાત મન દ્વારા ઝીલાય છે અને એને એવી પ્રેરણા મળે છે કે ચાલને આમને મળવા જાવ કે આમને ફોન કરું..! પણ આવું ક્યારે થાય છે તો કે જ્યારે માણસ કોઈ સાથે જીવથી જોડાય ને ત્યારે. જ્યારે બે વ્યક્તિના મન મળવાની સાથે સાથે જીવ પણ મળી જાય ને ત્યારે ત્યારે આવું થાય છે. પેલું કહેવાય છે ને  કે બે ખોળિયામાં એક પ્રાણ રમતો હોય ત્યારે આવું બને. કોઈની સાથે એટલી પ્રીત બંધાઈ જાય કે એની જિંદગી સાથે આપણી જિંદગી વણાઈ જાય છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણી ગૃહિણીઓ પરણીને આવે અને પતિના પ્રેમને ખાતર પરિવારમાં એવી ભળી જાય કે જાણે વર્ષોથી ત્યાં રહેતી હોય એવું લાગે. સાસરિયામાં એની જાતને એ એવી તો ઓગળી નાખે કે ના પુછો વાત. કોઈ એક ગમતા વ્યક્તિ માટે સુખ-દુઃખ, હરખ-શોક, માન-અપમાન આ બધું ગમતું કરવું એનું નામ પ્રેમ. આપણા લોકસાહિત્યનો દુહો છે કે,

તું મન લાગી મું મના, અને મું મન લાગી તું,
જેમ લુણ વળુંભિયા પાણીએ,પાણી વળુંભિયા લુણ.

જેવી રીતે મીઠાની પુતળી દરિયાનો તાગ લેવા જાય તો ડૂબી જ જાય, દરિયામાં સમાઈ જ જાય એમ માણસને પ્રેમ થાય પછી માણસ એમને એમ રહી નથી શકતો, એનું અસ્તિત્વ પોતાના પ્રિય પાત્રના અસ્તિત્વ સાથે જોડાઈ જાય છે. એની ધડકનો સાથે આનું દિલ ધડકતું થઈ જાય છે. પછી એની પોતાની પસંદ-નાપસંદ જેવું કશું રહેતું જ નથી. પ્રેમ થાય એ માણસનું એક ધ્યેય હોય કે એનો પ્રીતમ કઈ રીતે રાજી થાય.!? બસ એના વ્હાલાની ખુશીમાં એની ખુશી સમાઈ જાય છે. એના પ્યારની ઈચ્છાઓ પુરી કરવી બસ એમાં જ એના પૂજા-પાઠ, ઈબાદત આવી જાય છે. બહુ સરસ પંક્તિઓ છે કે,

યાદોનો પહેરી બુરખો, મારી દુઆ કરે તું,
નીકળે છે સુર મારા, તારી નમાજ માંથી.

જ્યારે એકના દિલની ધડકનમાં બીજાનું નામ ગુંજતું હોય ત્યારે
માટે એવું લખાય કે,

तेरी धड़कनों से है ज़िन्दगी मेरी,
ख़्वाहिशें तेरी अब दुआएं मेरी..

અને આવું થાય ને ત્યારે માણસ પ્રેમના બંધનમા બંધાઈ છે. આમ તો કોઈપન બંધન  માણસને પીડા આપે છે પણ એક પ્રેમનું બંધન જ એવું છે જે માણસને પ્રસન્નતા આપે છે.! આ એક જ બંધન એવું છે જેમાં માણસ આજીવન નહિ પણ જન્મોજન્મ બંધાઈ જવા માટે તૈયાર હોય છે અને એટલા માટે જ આ બંધન અનોખું છે. બીજા બધા બંધનમાં માણસને પકડવા માટે હાથકડી કે સાંકળની જરૂર પડે છે જયારે પ્રેમના બંધનમાં બાંધવા માટે આવી કોઈ વસ્તુની જરૂર નથી પડતી. જરૂર હોય છે માત્ર એક પ્રેમથી છલોછલ હૃદયની. બસ એકમેક પ્રત્યેના પ્રેમથી ભરેલા હૃદય સિવાય બીજું કાંઈ જોઇતું જ નથી. એક પ્રેમાળ હૃદયવાળા માણસના પગમ જગતનું તમામ સુખ આવી જાય છે.એ વ્યક્તિ જ્યાં જ્યાં પગ મૂકે ત્યાં ત્યાં સ્વર્ગ બની જાય. માટે એવું લખાય કે,

कितना अनोखा बंधन है ये,
तेरी मेरी जान जो एक हुई..

અને જ્યારે આવો પ્લેટોનિક પ્રેમ થાય ને ત્યારે એ સર્વ દ્વંદ્વથી મુક્ત હોય છે.. હોય છે બસ માત્ર ને માત્ર પ્રેમ. પછી એમાં બે જેવું હોતું જ નથી. અને આમ પણ પ્રેમ એ ડ્યુઆલિટીનો વિષય નથી, કબીર સાહેબ કહે છે એમ,

प्रेम गली अति संकरी, तामें दोनो  नहीं समाई |

પ્રેમની ગલી તો એટલી સાંકડી છે કે એમાં બે વ્યક્તિના જઈ શકે.પ્રેમમાં તો હારી જવાનું હોય, ત્યાગી જવાનું હોય, એકબીજાની હા માં  હા અને ના માં ના કરવાની હોય, એકબીજાનું ગમતું કરવાનું હોય છે. પ્રેમ જ્યારે એની ચરમસીમા એ પહોંચી જાય ને ત્યારે એક વચન અપાઈ જતું હોય છે કે હવે પ્રેમમાં જો કદાચ મરી જવાય ને તો પણ પાછા આવીશુ! કોઈકની વાતોમાં આવીશુ, કોઈના આંસુ મા આવીશું.! એમ કાંઈ સાવ ભુલાઈ નહિ જૉઈએ. કારણકે અમરત્વનું બીજું નામ પ્રેમ છે. માટે એવું લખાય કે,

लौटूंगा यहां तेरे पास मैं हाँ,
वादा है मेरा मर भी जाऊं कहीं

અને આપણને જ્યારે આવું કોઈ ગળાડૂબ પ્રેમ કરવાવાળું પાત્ર મળી જાય ને ત્યારે એની સાથે આપણી આખી જિંદગી જોવાઇ જાય છે અને જીવાઈ જાય છે. એની સાથે પછી સુખ-દુઃખ,અગવડ-સગવડ બધું મીઠું લાગે છે, ગમતું લાગે છે, વ્હાલુ લાગે છે અને ત્યારે કોઈ ઢળતી સાંજે, દરિયા કિનારે, આથમતા રતુંબડા સૂર્યના કિરણોની સાક્ષીએ એનો હાથ આપણા હાથમાં ઝાલીને એને બસ એટલું જ કહેવાનું મન થાય કે,

जो तू मेरा हमदर्द है,
जो तू मेरा हमदर्द है,
सुहाना हर दर्द है,
जो तू मेरा हमदर्द है,
हमदर्द है, हमदर्द है…


કોલમિસ્ટ :- યુગ અગ્રવાત


Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *