સિવિલ હોસ્પિટલ સામેનો રસ્તો શ્રી સુરેન્દ્રસિંહ એન રાજપૂત માર્ગ નામથી ઓળખાશે

Rudra
2 Min Read

અમદાવાદ : નવનિર્માણ આંદોલનનાં લડવૈયા અને ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતાને શ્રધ્ધાંજલિ સ્વરૂપે સિવિલ હોસ્પિટલથી બળિયા લીમડી ચાર રસ્તા સુધીનાં માર્ગને શ્રી સુરેન્દ્રસિંહ એન રાજપૂત માર્ગ નામ આપવામાં આવ્યું છે. આ જ વિસ્તારથી નગરસેવક તરીકે અને છઠ્ઠી તથા સાતમી વિધાનસભાનાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈને જીવનપર્યંત જનસેવામાં જીવન સમર્પિત કરનારા પોતાના જનપ્રતિનિધિને નામાભિધાન દ્વારા આપવામાં આવી રહેલી શ્રદ્ધાંજલિનાં દર્શનાર્થે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. માર્ગનાં નામાભિધાન માટે આવેલા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના નેતાને શ્રધ્ધાંજલિ આપવા આવેલી મોટી જનમેદનીને જોઈને સ્વ. સુરેન્દ્રસિંહ રાજપૂતનાં 24 કલાક ચાલતા કાર્યાલય સાથે કોઈ પણ જાતનાં ભેદભાવ વગર પ્રજાનાં પ્રશ્નોનાં તાત્કાલિક સમાધાનની કાર્યપધ્ધતિની યાદોને તાજી કરી હતી.

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે, આજે પણ ગુજરાતનાં દરેક ગામમાંથી સ્વ. સુરેન્દ્રસિંહ રાજપૂત સાથે સમાજમાં સમાનતા માટે કાર્યો કરતા કાર્યકરો તેમને યાદ કરતાં જોવા મળે છે. રાજકારણમાં આવતા યુવાનોએ સ્વ,સુરેન્દ્રસિંહ રાજપૂતનાં જીવનથી પ્રેરણા લઈને સમાન તકનું સર્જન કરતા સમાજનાં નિર્માણને પાયો બનાવી આગળ વધવું જોઈએ. પક્ષે આપેલી તમામ જવાબદારીઓ સ્વ.સુરેન્દ્રસિંહ રાજપૂતે નિષ્ઠા પૂર્વક નિભાવી હતી. આજે તેમની પુણ્યતિથિ છે તે દિવસે તેમના નામ પર આ માર્ગનું નામાભિધાન કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં તમામ આગેવાનો અને અધિકારીઓએ પૂરો સહયોગ આપ્યો છે જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે.

ગુજરાત રાજ્ય સેવા સમિતિનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વપ્નિલસિંહ રાજપૂતે મંચ પર ઉપસ્થિત તમામનો આભાર માનતા જણાવ્યું હતું કે, વૈશ્વિકનેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં પક્ષે મારા જેવા સામાન્ય કાર્યકરની વાતને ધ્યાને લઈને મહાનુભાવોથી મંચ શોભાવ્યો તે અમારા પરિવાર માટે ગૌરવની વાત છે. સ્વ.સુરેન્દ્રસિંહજી રાજપૂત કોઈ પણ જાતની અપેક્ષા વગર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાઈ દેશનાં વિકાસની પ્રક્રિયામાં સહભાગી થયા હતા. આજે તેમનું ભારત દેશને વિકસિત જોવાનું સ્વપ્ન પુરુ થઇ રહ્યું છે.

આ પ્રસંગે સંસદસભ્ય દિનેશભાઇ મકવાણા, પૂર્વ સંસદસભ્ય નરહરિભાઈ અમીન, મેયર હિતેષભાઇ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન કમલેશ પટેલ, દંડક અતુલભાઈ મિશ્રા, જશુભાઈ ઠાકોર, ધરમશીભાઈ દેસાઈ, સુરેશભાઈ પટેલ, સુજયભાઈ મહેતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની સાથે ભારતીય જનતા પાર્ટીનાં પદાધિકારીઓ, સરકારી અધિકારીઓ,સમાજનાં વરિષ્ઠ બુદ્ધિજીવીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article