નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ‘બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ’ (BSBD) એટલે કે બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. બેંક 1 ઓક્ટોબર 2026થી આ પ્રકારના ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમ મુજબ, મહિનામાં મળતી 4 ફ્રી વિથડ્રોઅલની મર્યાદા પૂરી થયા બાદ કરવામાં આવતા દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડશે. આ ફેરફારની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પણ 4 ફ્રી વિથડ્રોઅલની મર્યાદામાં ગણવામાં આવશે.
1 ઓક્ટોબરથી નવા દર લાગુ થશે
SBI દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સર્વિસ ચાર્જ વ્યવસ્થા મુજબ 1 ઓક્ટોબર 2026થી BSBD ખાતાઓ માટે સુધારેલા નિયમો અમલમાં આવશે. નવા નિયમ હેઠળ દર મહિને શરૂઆતના 4 ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે. ત્યારબાદ પાંચમા અને તે પછીના દરેક પાત્ર ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયા સાથે GST ચૂકવવો પડશે.
અગાઉના નિયમની સરખામણીએ શું બદલાયું?
અગાઉના નિયમ મુજબ, મહિનાની 4 ફ્રી વિથડ્રોઅલની ગણતરી કરતી વખતે ડિજિટલ માધ્યમથી કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન, જેમ કે ઓનલાઈન અથવા ડિજિટલ ટ્રાન્સફર, તેમાં સામેલ કરવામાં આવતા નહોતા. જોકે, 1 ઓક્ટોબર 2026થી આ છૂટ સમાપ્ત કરવામાં આવી રહી છે.હવે ડિજિટલ માધ્યમથી કરવામાં આવતા સંબંધિત ટ્રાન્ઝેક્શન પણ દર મહિને મળતી 4 ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં ગણાશે.
કયા ટ્રાન્ઝેક્શન 4 ફ્રીની મર્યાદામાં ગણાશે?
SBIના ATMમાંથી રોકડ ઉપાડવી
અન્ય બેંકોના ATMમાંથી રોકડ ઉપાડવી
બેંકની શાખામાં જઈને રોકડ ઉપાડવી
આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AEPS) દ્વારા કરવામાં આવતા રોકડ ટ્રાન્ઝેક્શન
લાગુ પડતા ડિજિટલ માધ્યમના સંબંધિત ટ્રાન્ઝેક્શન
આ રીતે BSBD ખાતાધારકોએ મહિનામાં પોતાના 4 ફ્રી ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ સમજી-વિચારીને કરવો પડશે, કારણ કે મર્યાદા પૂરી થયા બાદ દરેક પાત્ર વધારાના ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે.

