રાંચરડા સ્થિત નીબ કરૌરી બાબા મંદિરનો દ્વિતીય પાટોત્સવ 23 ઓગસ્ટે યોજાશે

Rudra
2 Min Read

અમદાવાદ: અમદાવાદના રાંચરડા ખાતે આવેલું શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિર આગામી 23 ઓગસ્ટ, રવિવારે પોતાના દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે મંદિર ખાતે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

નીબ કરૌરી બાબાના આશીર્વાદથી 23 ઓગસ્ટ 2024ના રોજ આ મંદિરની ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ભારતનું ચોથું એવું દિવ્ય મંદિર હોવાનું જણાવવામાં આવે છે, જ્યાં હનુમાનજીની વિશ્રામ કરતી અવસ્થાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

મંદિરના સંસ્થાપક ડો. પ્રવીણ ગર્ગના જણાવ્યા મુજબ, પાટોત્સવ નિમિત્તે 23 ઓગસ્ટના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમની શરૂઆત સાંજે 3:30 કલાકે હવનથી થશે. ત્યારબાદ સાંજે 5:30 કલાકે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7:15 કલાકે રામ નામ કીર્તન અને 7:30 કલાકે મહા આરતી તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.

મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સેવા પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર બની રહ્યું છે. મંદિર દ્વારા 3 ‘રામ રોટી સેવા રથ’ના માધ્યમથી નિયમિત રીતે આશરે 500 જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

આ ઉપરાંત, મંદિર ખાતે દર રવિવારે નિયમિત રીતે સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવે છે. વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓને કારણે રાંચરડાનું આ મંદિર ધીમે ધીમે લોકોની શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. દ્વિતીય પાટોત્સવ નિમિત્તે આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે.

Share This Article