GSRTC Recruitment 2026: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ગુજરાતના હજારો યુવાનો માટે રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ નિગમમાં કુલ 8,917 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેના કારણે રાજ્યના પરિવહન ક્ષેત્રમાં માનવબળની મોટી ખામી દૂર થશે.
આ ભરતી અંતર્ગત 4,318 કન્ડક્ટર અને 4,599 ડ્રાઈવરની જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્યભરના બેરોજગાર યુવાઓ માટે આ ભરતી રોજગારી મેળવવાની મોટી તક સાબિત થઈ શકે છે.
મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા નિર્ણય
ગુજરાત એસટી નિગમ રાજ્યના પરિવહન તંત્રનો મહત્વનો આધારસ્તંભ છે. હાલમાં દરરોજ અંદાજે 27 લાખ મુસાફરો એસટી બસ સેવા દ્વારા મુસાફરી કરે છે. રાજ્ય સરકાર આગામી સમયમાં આ સંખ્યાને વધારીને 30 લાખ સુધી પહોંચાડવાનું આયોજન કરી રહી છે.
મુસાફરોની વધતી માંગ અને નવી બસોના સંચાલન માટે પૂરતા ડ્રાઈવર અને કન્ડક્ટરની જરૂરિયાત ઉભી થઈ છે. આ જ કારણસર રાજ્ય સરકારે મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લીધો છે.
ગ્રામ્ય વિસ્તારોને મળશે મોટો લાભ
નવા કર્મચારીઓની ભરતીથી માત્ર શહેરો જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિવહન સેવાઓ વધુ સુવ્યવસ્થિત બનશે. હાલમાં અનેક રૂટ પર સ્ટાફની અછતના કારણે બસોની આવન-જાવનમાં મુશ્કેલીઓ સર્જાતી હતી. નવી ભરતી બાદ બસોની નિયમિતતા વધશે અને મુસાફરોને વધુ સારી સેવા મળી શકશે.
યુવાનોમાં ઉત્સાહનો માહોલ
લાંબા સમયથી એસટી નિગમમાં ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ જાહેરાત આશાનું કિરણ બની છે. ખાસ કરીને ડ્રાઈવિંગ લાયસન્સ ધરાવતા અને પરિવહન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાઓ માટે આ ભરતી મહત્વપૂર્ણ તક બની રહેશે.
ટૂંક સમયમાં બહાર પડશે સત્તાવાર જાહેરાત
હાલમાં ભરતી અંગેની પ્રાથમિક માહિતી જાહેર કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પરીક્ષા પદ્ધતિ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો અંગેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે.
હર્ષ સંઘવીએ આપી માહિતી
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghavi દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ભરતી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં પરિવહન સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે આ ભરતી મહત્વપૂર્ણ સાબિત થશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી એક તરફ હજારો યુવાનોને રોજગારીની તક મળશે તો બીજી તરફ ગુજરાતના લાખો મુસાફરોને વધુ સુવિધાજનક અને નિયમિત એસટી બસ સેવા મળી શકશે. ભરતીનું સત્તાવાર નોટિફિકેશન જાહેર થતાં જ ઉમેદવારો અરજી કરી શકશે.
