પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું ઐતિહાસિક તરસંગ ગામ હાલ સોશિયલ મીડિયામાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તરસંગ તેના પૌરાણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. તરસંગ ગામે આવેલા ડુંગર પર અનેક વિશાળ પથ્થરો જોવા મળે છે, જે એકબીજા પથ્થર પર આજે પણ અડીખમ ઊભા છે.આમા કેટલાક પથ્થરોને ધ્યાનથી જોતા જાણે કુદરતે માણસના ચહેરા વાળી કૃતિ કંડારી હોય તેવો આભાસ થાય છે.મંદિર તરફ જતા ગેટ પાસે આ પ્રકારનો વિશાળ પથ્થર જોવા મળે છે.
શહેરા તાલુકામા તરસંગ ગામે આવેલો આ ડુંગર પ્રકૃતિપ્રેમીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે અને રજાઓના દિવસોમાં લોકો અહીં મોટી સંખ્યામાં મુલાકાત લે છે. અહીં આવેલા પથ્થરોને જો કોઈ કલાપ્રેમી કે સામાન્ય નાગરિક ધ્યાનથી જુએ, તો તેમાં વિજ્ઞાનની ભાષામાં ‘પરેડોલિયા’ (માનવ ચહેરો ભ્રમિત કરતી પ્રકૃતિની રચના)નો અદભુત નજારો જોવા મળે છે. પથ્થરની કુદરતી ગોઠવણ અને સમયના વહેણ સાથે થયેલા ઘસારાને કારણે એક વિશાળ પથ્થર જાણે હેલ્મેટ પહેરેલા કોઈ મહાબલી સૈનિક કે માનવીનો ચહેરો હોય તેવો આબેહૂબ પ્રતીત થાય છે. આવા રહસ્યમય પથ્થરોની વચ્ચે જ હવે આ હેલ્મેટ આકારનો માનવ ચહેરો ધરાવતો પથ્થર જોવા મળતા પ્રવાસીઓમાં ભારે કૌતુક વધ્યું છે.
તરસંગ ગામ માત્ર પથ્થરો માટે નહીં, પરંતુ તેના ભવ્ય પૌરાણિક વારસા માટે વિખ્યાત છે. આ તરસંગના ડુંગર સાથે એક ખાસ લોકવાયકા જોડાયેલી છે, તે મુજબ આ ગામનો સંબંધ મહાભારત કાળ સાથે છે. એવું માનવામાં આવે છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ તરસંગના ડુંગરો પર સમય વિતાવ્યો હતો. અહીં એક વિશાળ પથ્થર આવેલો છે જેને સ્થાનિકો ‘ખીચડીયો પથ્થર’ કહે છે, જેના વિશે માન્યતા છે કે ભીમે ત્યાં રસોઈ બનાવી હતી. આ પર્વત પર રાજ્યનું એકમાત્ર અર્ધનારેશ્વર મંદિર આવેલું છે, જેને ‘મહેશ્વરી માતાજીનું મંદિર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે પથ્થરની કુદરતી ગુફામાં ભગવાન શિવ અને પાર્વતી માતાજીની મૂર્તિ એક જ સ્વરૂપમાં જોવા મળે છે, સાથે અન્ય પૌરાણિક મૂર્તિઓ પણ બિરાજમાન છે.અન્ય મુખ્ય આકર્ષણોમાં ડુંગર પર ભીમનું ગાદલું, ‘બે બાપની બારી’, શેષનાગનો વાસ, ઢોલિયો પથ્થર, વેજબાઈ માનું મંદિર તેમજ પ્રાચીન કાળની સંસ્કૃતિ દર્શાવતી ‘ચાંદો સૂરજ લિપી’ પણ જોવા મળે છે, જે સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ચોમાસાની ઋતુ દરમિયાન આ ડુંગર પર પ્રકૃતિ જાણે સોળ શણગાર સજે છે. ચારેય તરફ છવાતી હરિયાળી આ પવિત્ર અને ઐતિહાસિક સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતી તસવીરો જોઈને મુલાકાતીઓ કહી રહ્યા છે કે, “કુદરતની કરામત કે આપણી નજરનો ભ્રમ? પથ્થરમાં છુપાયેલો ચહેરો!” તો વળી કોઈ કહે છે કે, “આ સમયના વહેણ સાથે કંડારાયેલી કુદરતી શિલ્પકળા છે. જાણે પથ્થરો પણ આ પૌરાણિક ભૂમિનો ઈતિહાસ આપણી સામે બોલવા માંગતા હોય તેવો ભાસ થાય છે.”તરસંગ ગામનો ઇતિહાસ ઘણો જૂનો અને પવિત્ર છે. અહીં પથ્થરોમાં જોવા મળતી આવી અદભુત આકૃતિઓ અને ઐતિહાસિક ધરોહર પ્રકૃતિપ્રેમીઓને સતત આકર્ષી રહી છે. પથ્થરોની આ વિશિષ્ટ સંરચનાઓ જોતા એવું ચોક્કસ કહી શકાય કે કુદરતથી મોટો કોઈ કલાકાર નથી. જો પુરાતત્વ વિભાગ અને ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ ઐતિહાસિક સ્થળને પૂરતી સુવિધાઓ આપી વધુ પ્રોત્સાહન આપવામાં આવે, તો આગામી સમયમાં તરસંગ પંચમહાલ જિલ્લાનું એક વૈશ્વિક સ્તરનું મોટું અને પ્રખ્યાત પ્રવાસન કેન્દ્ર બની શકે તેમ છે.
