આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા “વોકલ ફોર લોકલ” ઉપર ભાર મૂકતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દેશના અને રાજ્યના સ્થાનિક ઉત્પાદનો એ માત્ર જરૂરિયાત નહિ, પરંતુ આપણી જવાબદારી પણ છે. મંત્રીએ દેશના વિકાસમાં ગુજરાતનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, ગુજરાત આજે ભારતના GDPમાં ૮.૨ ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા અને રાષ્ટ્રીય નિકાસમાં લગભગ ૨૭ ટકાના યોગદાન સાથે દેશના મોખરાના રાજ્યો પૈકીનું એક બન્યું છે.
છેલ્લા દિવસના પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતા મંત્રીએ જણાવ્યું હતું કે, બ્રિટીશ શાસનમાં ભાંગી પડેલી ભારતની અર્થવ્યવસ્થા દેશની આઝાદી પછીના અનેક વર્ષો સુધી ખડેપગ થઇ શકી ન હતી. વર્ષ ૨૦૧૪માં દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાળ સંભાળ્યાની સાથે જ નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ લેવાયેલા વિઝનરી નિર્ણયોના પરિણામે આજે ભારતની અર્થવ્યવસ્થા વિશ્વમાં ચોથા સ્થાને પહોંચી છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે, દેશના વિકાસ માટેનું એક દૂરંદેશી વિઝન અને એ વિઝનને પરિપૂર્ણ કરવા માટેનો દ્રઢ સંકલ્પ કર્યો હોય.
દેશના વિકાસનો મૂળ પાયો ગુજરાતમાં નાખવામાં આવ્યો હતો. ગુજરાતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી વિશેષ પહેલોના પરિણામે જ આજે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે. ગુજરાતના જ તર્જ પર વડાપ્રધાનશ્રીએ વર્ષ ૨૦૧૪ બાદ દેશના વિકાસની નવી પરિભાષા લખી છે. ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર અને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું યોગદાન દરેક ક્ષેત્રે સૌથી વધુ હશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીએ આ સંદર્ભે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં શરૂ થયેલું “વોકલ ફોર લોકલ” અભિયાન ભારતનાં ઔદ્યોગિક પરિવર્તનનાં નવા યુગનો પ્રારંભ બન્યું છે. “વોકલ ફોર લોકલ”ના મંત્ર એ દેશના સ્થાનિક ઉત્પાદનો, કારીગરો અને ઉદ્યોગોને સમર્થન આપવાની સાથે તેમના ગૌરવને પણ વધાર્યું છે. ગુજરાત સરકાર દ્વારા વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરવા સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા અનેવિધ પહેલો કરવામાં આવી રહી છે. જેના પરિણામે જ આજે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આત્મનિર્ભર ભારત અભિયાનમાં ગુજરાત એક મુખ્ય એન્જિનની ભૂમિકા નિભાવી રહ્યું છે.
ગુજરાતના વિકાસનું સરવૈયું આપતા મંત્રી રાજપૂતે કહ્યું હતું કે, વર્ષ ૨૦૦૩માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત થઇ ત્યારે, ગુજરાતનું GSDP એટલે કે, રાજ્યનું કુલ ઉત્પાદન ૧.૨૩ લાખ કરોડ હતું, જે વર્ષ ૨૦૨૪માં વધીને ૨૨ લાખ કરોડ થયું છે. તેવી જ રીતે, રાજ્યની માથાદીઠ આવક પણ ૧૮,૩૯૨થી વધીને ૨,૭૩,૫૫૭ થઇ છે. આ ઉપરાંત રાજ્યના ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ૧૫-૧૫ ગણો, સર્વિસ સેક્ટરમાં ૧૩ ગણો અને મૂડી રોકાણમાં ૯ ગણો વધારો થયો છે. સાથે જ, રાજ્યમાં નાના ઉદ્યોગોની સંખ્યા પણ છેલ્લા ૨૦ વર્ષમાં ૧.૩૮ લાખથી વધીને ૨૧ લાખ થઇ છે.
વોકલ ફોર લોકલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને વધુ સહાય તેમજ સવલતો આપવા માટે ગુજરાતે “વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ” કાર્યક્રમને પણ ખૂબ જ વેગવાન બનાવ્યો છે. રાજ્યના દરેક જિલ્લામાં વિવિધ ઉત્પાદનોની ઓળખ કરીને જિલ્લામાં તેના ઉત્પાદનની સંભાવનાને પારખવામાં આવે છે. રાજ્યના દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને વિશ્વ કક્ષાએ એક આગવી ઓળખ મળે તે માટે ભારત સરકારના સહયોગથી કુલ ૯૦ જેટલા ઉત્પાદનોની વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી કરવામાં આવી છે અને તેના ઉત્પાદનને વેગ આપવા અનેકવિધ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહય છે. જે ખરા અર્થમાં વોકલ ફોર લોકલની ભાવનાને ચરિતાર્થ કરે છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
દેશને આત્મનિર્ભર બનાવવા માટે મંત્રીએ ગુજરાતના દરેક નાગરિકોને તહેવારો અને તેના સિવાયના દિવસોમાં પણ સ્થાનિક અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને “વોકલ ફોર લોકલ” અભિયાનમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
મંત્રી ઋષિકેશ પટેલે ચર્ચામાં સહભાગી થતા જણાવ્યું હતું કે, ભારત સરકારનો ‘વોકલ ફોર લોકલ’ સંકલ્પ માત્ર એક શબ્દ નથી, પરંતુ એક વિચારધારા છે, જે સ્વ-જાગૃતિનો મંત્ર અને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. આ અભિયાનને ભારતના સ્વાભિમાન અને વિકસિત ભારત તરફની એક અનુપમ યાત્રા તરીકે રજૂ કરવામાં આવ્યું છે. આઝાદીના આટલા વર્ષો પછી આ અભિયાનની જરૂરિયાત એ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલી છે, જ્યારે અંગ્રેજોએ ભારતની સમૃદ્ધ અર્થવ્યવસ્થાને તોડી પાડી હતી. તે સમયે, દુનિયાના કુલ ઉત્પાદનમાં ભારતનો એક ચતુર્થાંશ હિસ્સો હતો અને દેશ ‘સોનાની ચિડિયા’ કહેવાતો હતો.
અંગ્રેજોના શાસન કાળમાં દેશની તૂટી પડેલી અર્થવ્યવસ્થાને ફરી જીવંત કરવા વર્ષ ૧૯૦૫માં સ્વદેશી આંદોલન શરૂ થયું હતું. આ વિચારને મહાત્મા ગાંધીએ આગળ ધપાવ્યો અને સ્વદેશીને સ્વરાજનો મંત્ર બનાવ્યો. આઝાદી પછી આ વિષય પર ધ્યાન ન અપાયું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સત્તા સંભાળ્યા બાદ દરેક ક્ષેત્રમાં ‘સ્વ’ નો આગ્રહ રાખીને ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ જેવા અભિયાનો શરૂ કર્યા. આ પ્રયાસોના પરિણામો આજે સ્પષ્ટરૂપે દેખાઈ રહ્યા છે. છેલ્લા એક દાયકામાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ૫૦૦ ટકા અને મોબાઇલ ફોન ઉત્પાદનમાં ૨,૭૦૦ ટકાનો વધારો થયો છે. ખાદીનું વેચાણ પણ લગભગ ૭ ગણું વધ્યું છે અને ૯.૫ લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન થયું છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વોકલ ફોર લોકલના મૂળમંત્રથી દેશના નાગરિકોને આહ્વાન કરવામાં આવ્યું છે કે, તેઓ માત્ર ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરે. આ અભિયાન એક એવી પ્રતિજ્ઞા છે, જેમાં દરેક વ્યક્તિએ પોતાના ઘરે વપરાતી વસ્તુઓની યાદી બનાવીને સ્વદેશી વિકલ્પો અપનાવવાના છે. અંતમાં, વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દરેક ભારતીયને માતૃભૂમિના કલ્યાણ માટે સ્વદેશી અપનાવવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
ધારાસભ્ય કેયુર રોકડિયાએ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા ‘વોકલ ફોર લોકલ’ અભિયાનનો ઉદ્દેશ્ય ભારતીય કારીગરો, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) અને ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો છે. આ પહેલના માધ્યમથી ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન હેઠળ ભારતીય ઉત્પાદનોનો વપરાશ વધારીને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાન દેશની સ્થાનિક ઉત્પાદનોના માર્કેટિંગ, પ્રમોશન અને વૈશ્વિક સ્તરે બ્રાન્ડિંગને પણ પ્રોત્સાહન આપે છે, જેથી તેમને આંતરરાષ્ટ્રીય બજારોમાં સ્પર્ધાત્મક બનાવી શકાય. સરકારે ‘વોકલ ફોર લોકલ’ મિશનને વેગ આપવા માટે અનેકવિધ યોજનાઓ અને નીતિઓ અમલમાં મૂકી છે. આ પહેલ MSMEs, હસ્તકલા અને ગૃહ ઉદ્યોગોના વિકાસમાં ખૂબ જ મદદરૂપ થઈ રહી છે. દેશના નાગરિકોએ માત્ર સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ જ નહીં, પરંતુ તેના પર ગર્વ પણ કરવો જોઈએ, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ ‘વોકલ ફોર લોકલ’ અભિયાન હેઠળ અનેક પહેલ શરૂ થઈ છે. ખાસ કરીને હસ્તકલા, હેન્ડલૂમ અને પરંપરાગત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે. સરકારી ઇ-માર્કેટપ્લેસ (GeM) દ્વારા ગુજરાતના કારીગરોને ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે, જ્યાં તેઓ તેમના ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. આ અભિયાન સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગોને વધુ ટેકનોલોજીકલ અને ઉત્પાદક બનવા માટે પણ પ્રોત્સાહિત કરે છે, જે આખરે રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં યોગદાન આપશે.
ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા રજૂ કરાયેલા છેલ્લા દિવસના પ્રસાતવની ચર્ચામાં ધારાસભ્ય સર્વ પ્રવીણભાઈ માળી, અનિરુદ્ધભાઈ દવે અને ગોપાલભાઈ ઈટાલિયા સહભાગી થયા હતા.