અધિકારીઓની બદલી મુદ્દે મમતાના આક્ષેપો ખોટા છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી વેળા ટોચના અધિકારીઓની બદલીને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હચમચી ઉઠ્યા છે. ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી એકાએક બદલીથી નારાજ થયેલા મમતા બેનર્જીએ આક્ષેપોનો મારો ચલાવ્યો છે. બીજી બાજુ આજે ચૂંટણી પંચે મમતા બેનર્જીને જવાબ આપતા કહ્યું હતું કે, બદલી કરવામાં આવેલા અધિકારીઓ માટે પક્ષપાતના આક્ષેપો ખુબ જ કમનસીબ છે. મમતા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો આધારવગરના છે. બંગાળમાં ચાર વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવ્યા બાદ મમતા બેનર્જી દ્વારા ચૂંટણી પંચ સામે આક્ષોપ કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પેનલે મમતાને કહ્યું છે કે, આ પ્રકારના આક્ષેપો આધારવગરના છે. આ પ્રકારના નિવેદનો વિશ્વસનીયતાને પણ નુકસાન પહોંચાડે છે. કોલકાતાના પોલીસ કમિશનર અનુજ શર્મા સહિત ચાર પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા બાદ મમતા બેનર્જીએ ચૂંટણી પંચને પત્ર લખીને કેન્દ્ર સરકારના ઇશારે કામ કરવાનો ચૂંટણી પંચ ઉપર આક્ષેપ કર્યો હતો. હવે ચૂંટણી પંચે મમતાને વળતો પત્ર લખીને કહ્યું છે કે, ચૂંટણી પંચ લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ ૨૮ મુજબ બદલીઓના અધિકાર ધરાવે છે.

કેરળ હાઈકોર્ટના ચુકાદાની પણ તે સન્માન કરે છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે, લોકપ્રતિનિધિત્વની ધાર ૪૮ મુજબ ચૂંટણી આચારસંહિતા માટે રાજ્ય સરકાર દ્વારા નિમવામાં આવેલા કોઇપણ પોલીસ અધિકારીને ચૂંટણી પંચ અન્યત્ર મોકલી શકે છે. ચૂંટણી પંચની હદમાં આ બાબત આવે છે. ૧૯૮૪માં કેરળ હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા પંચે કહ્યું છે કે, ચૂંટણી પંચ આચારસંહિતાના સંદર્ભમાં કોઇપણ અધિકારીની બદલી અને પોસ્ટિંગના સંદર્ભમાં આદેશ જારી કરી શકે છે. મમતા બેનર્જીને કેટલીક બાબતોની યાદ પણ અપાવી છે.

Share This Article