સ્માર્ટ સિટી યોજનાઓ માટે ૯૯૪૩ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હોવા છતાંય ૧૮૨ કરોડનો ખર્ચ કરાયો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગીની કેટલીક યોજનાઓ અધ્ધરમાં લટકેલી છે. તેમની આ મહત્વકાંક્ષી યોજનાઓ અપેક્ષા મુજબની યોજના સાથે આગળ વધી શકી નથી. સ્માર્ટ સિટી યોજનાથી લઇને પીએમ આવાસ યોજનાના કામકાજમાં ધીમી ગતિના કારણે સંસદની સ્ટેન્ડિંગ કમીટી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

કમીટીએ માહિતી આપતા કહ્યુ છે કે સ્માર્ટ સિટી , અમૃત હદ્ધય, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા યોજનાઓ શરૂ થવાથી લઇને હજુ સુધી કુલ ૩૬૧૯૪.૩૯ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે, પરંતુ આ જંગી રકમ પૈકી ૭૮૫૦.૭૧ કરોડ રૂપિયાની રકમ  જ ખર્ચ કરવામાં આવી છે. આમાંથી પણ સ્માર્ટ સિટી યોજના માટે ૯૯૪૩ કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા હતા, પરંતુ ખર્ચનો આંકડો ૧૮૨.૬૨ કરોડનો રહ્યો છે. એટલે કે ૧.૮૩ ટકા જેટલી રકમ જ ખર્ચ કરવામાં આવી છે. આવી જ રીતે શહેરોમાં પાણી પુરવઠા માટેની અમૃત યોજના હેઠળ ૧૨૪૪૭ કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી હોવા છતાં માત્ર ૨૯ ટકા રકમ ખર્ચ કરવામાં આવી છે.

સ્વચ્છ ભારત મિશન માટે પણ જેટલા પ્રમાણમાં રકમ જારી કરવામાં આવી છે તે પૈકી ૩૮ ટકા રકમ જ ખર્ચ થઇ શકી છે. આવાસ યોજનામાં ૨૦ ટકા રકમનો જ ખર્ચ કરવામાં આવ્યો છે. આ તમામ યોજનાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાં સામેલ રહી છે. જો કે આ તમામ યોજનાને લઇને ઉદાસીનતા દેખાઇ રહી છે.

Share This Article