અમદાવાદ: એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદ દ્વારા વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે 15 જુલાઈ, 2026ના રોજ ‘ઘાના-ગુજરાત ડાયલોગ ઑન સ્કિલ ઓપોર્ચ્યુનિટીઝ’નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ઘાના પ્રજાસત્તાકના રોકાણ અને પર્યટન મંત્રી માનનીય ક્વાસી અગ્યેમંગ ગ્યાન-ટુટુ, ભારતમાં ઘાના પ્રજાસત્તાકના ઉચ્ચાયુક્ત મહામહિમ પ્રો. ક્વાસી ઓબિરી-ડાન્સો તેમજ ઈડીઆઈઆઈના મહાનિર્દેશક ડૉ. સુનીલ શુક્લા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. નિખિલ મેથિયા, સીઈઓ, ડ્રોનલેબ પણ હાજર હતા.
સવિશ્કારના સહયોગથી આયોજિત આ સંવાદમાં નીતિ નિર્માતાઓ, રાજદ્વારીઓ, શિક્ષણજગત અને ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાતો તેમજ અન્ય હિતધારકો એકત્રિત થયા હતા અને કૌશલ્ય વિકાસ, કુશળ કાર્યબળની તૈયારી (વર્કફોર્સ રેડીનેસ) તથા ઘાના સાથે સહયોગની તકો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ અવસરે ઈડીઆઈઆઈએ ઘાના સરકાર સાથે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા, જેના અંતર્ગત ભારત અને ઘાનાના યુવાનો માટે સંયુક્ત રીતે ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
કાર્યક્રમને સંબોધતાં કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું, “અમે કૌશલ્ય વિકાસ, રોજગાર સર્જન અને ઉદ્યોગ જગત સાથે મજબૂત સહયોગને એકસાથે જોડીને સશક્ત ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સતત કાર્ય કરી રહ્યા છીએ. સાથે જ, અમારું વિશેષ ધ્યાન ટેક્નોલોજી આધારિત તાલીમ અને પરિણામલક્ષી પહેલો પર પણ કેન્દ્રિત છે. જેમ જેમ વિવિધ દેશોની અર્થવ્યવસ્થાઓ પરસ્પર વધુ જોડાતી જાય છે, તેમ આંતરરાષ્ટ્રીય સહયોગ જ્ઞાનના આદાન-પ્રદાન, શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓના વહેંચાણ અને ઉભરતા પ્રવાહોને પહોંચી વળવા માટે નવતર અભિગમો વિકસાવવાનું એક મહત્વપૂર્ણ મંચ બની ગયું છે. આ સંવાદ ગુજરાત અને ઘાના વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે તથા કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને સર્વસમાવેશક આર્થિક વિકાસના ક્ષેત્રોમાં સહયોગ માટે નવી તકો ઊભી કરશે.મને ખાતરી છે કે આવા પ્રયાસો આપણને ‘આત્મનિર્ભર ભારત 2047’ના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે.”
ઘાના પ્રજાસત્તાકના રોકાણ અને પર્યટન મંત્રી માનનીય શ્રી ક્વાસી અગ્યેમંગ ગ્યાન-ટુટુએ જણાવ્યું હતું, “ઘાના અને ગુજરાત પરસ્પર હિતના ક્ષેત્રોમાં પોતાની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે એકસાથે આગળ આવી રહ્યા છે, તે ખરેખર પ્રોત્સાહક છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા આર્થિક પરિવર્તનના મુખ્ય પ્રેરક છે, અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સંવાદ ઘાના અને ભારત વચ્ચે લાંબા ગાળાના સહયોગ માટે મજબૂત પાયો તૈયાર કરશે. સાથે જ, તે એવી ભાગીદારીઓને પ્રોત્સાહન આપશે, જે ઉદ્યોગસાહસિકતા, સર્વસમાવેશક વિકાસ અને નવાચારને આગળ વધારશે.”
ભારતમાં ઘાના પ્રજાસત્તાકના ઉચ્ચાયુક્ત મહામહિમ પ્રો. ક્વાસી ઓબિરી-ડાન્સોએ જણાવ્યું હતું, “ઘાના ભારત સાથેની પોતાની લાંબા સમયથી ચાલતી ભાગીદારીને ખૂબ મહત્વ આપે છે અને અમે કૌશલ્ય, ઉદ્યોગસાહસિકતા તથા યુવા વિકાસના ક્ષેત્રોમાં આ સહયોગને વધુ વિસ્તૃત કરવાની અપાર સંભાવનાઓ જોઈએ છીએ. આ સંવાદ જ્ઞાનના આદાન-પ્રદાન, સંસ્થાકીય ભાગીદારી અને સહયોગાત્મક શિક્ષણ દ્વારા યુવાનો માટે નવી તકો ઊભી કરવાની અમારી સંયુક્ત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમને આશા છે કે આ ચર્ચાઓને એવી અર્થપૂર્ણ પહેલોમાં રૂપાંતરિત કરવામાં આવશે, જે ઘાના અને ભારત—બંને દેશોના યુવાનોને લાભ પહોંચાડશે.”
ઈડીઆઈઆઈના મહાનિર્દેશક ડૉ. સુનીલ શુક્લાએ જણાવ્યું હતું, “ઈડીઆઈઆઈને વર્ષોથી ઘાનામાં સરકારી અધિકારીઓ, તાલીમકારો અને ઉદ્યોગસાહસિકોને આવરી લેતી વિવિધ ક્ષમતા નિર્માણ પહેલો દ્વારા નજીકથી કાર્ય કરવાનો વિશેષ અવસર મળ્યો છે. ‘ઘાના-ગુજરાત સંવાદ’ સંસ્થાકીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા, જ્ઞાનના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગસાહસિકતા તથા કૌશલ્ય વિકાસને આગળ વધારતી સહયોગાત્મક પહેલોની નવી સંભાવનાઓ શોધવા માટેનું એક મહત્વપૂર્ણ મંચ છે. અમને વિશ્વાસ છે કે આ સંવાદ એવી અસરકારક પહેલો માટે માર્ગ મોકળો કરશે, જે બંને દેશોના યુવાનોને સશક્ત બનાવશે અને ભારત તથા ઘાના બંનેમાં ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે.”

