બાંગ્લાદેશ સામે જીત છતાં ટીમ ઇન્ડિયા પર લાગી કાળી ટીલી, વર્લ્ડ કપમાં નોંધાયો શરમજનક રેકોર્ડ

Rudra
3 Min Read

ભારતીય મહિલા ટીમે ટી20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવી મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. જોકે, આ જીત વચ્ચે ટીમના નામે એક એવો અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાયો છે, જે કોઈ પણ ટીમ પોતાના નામે ઈચ્છતી નથી. આ ભૂલ આગામી મહત્વપૂર્ણ મેચોમાં ભારત માટે ભારે પડી શકે છે.

ભારતના નામે નોંધાયો અનિચ્છનીય રેકોર્ડ

બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતીય ખેલાડીઓનું ફિલ્ડિંગ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ટીમે પ્રથમ પાંચ ઓવરમાં જ એક-બે નહીં પરંતુ ચાર કેચ છોડ્યા હતા. આ સાથે ભારત મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે, જેણે મેચના પ્રથમ પાંચ ઓવરમાં ચાર કેચ છોડ્યા હોય.

કેવી રીતે છૂટ્યા ચાર કેચ?

કેચ છોડવાની શરૂઆત ત્રીજા ઓવરમાં થઈ હતી. ઓવરની પાંચમી બોલ પર જુએરિયા ફરદૌસે શ્રી ચરિણીની બોલિંગમાં સ્વીપ શોટ રમ્યો હતો. બોલ હવામાં ગયો હતો, પરંતુ વિકેટકીપર યસ્તિકા ભાટિયાએ ડાઇવ લગાવી છતાં કેચ પકડી શકી નહોતી. ત્યારબાદ ચોથા ઓવરની છેલ્લી બોલ પર જુએરિયાને ફરી એક વખત જીવનદાન મળ્યું. તેણે રેણુકા ઠાકુરની બોલિંગમાં ડીપ મિડવિકેટ તરફ શોટ માર્યો હતો, પરંતુ રાધા યાદવ સરળ કેચ પકડી શકી નહોતી અને બોલ બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો.

પાંચમા ઓવરમાં શ્રી ચરિણી બોલિંગ કરી રહી હતી. ઓવરની બીજી બોલ પર શોભના મોસ્તારીએ ડ્રાઇવ રમ્યો હતો. શ્રી ચરિણીએ બોલ રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેમના હાથમાંથી સરકી ગયો. તે જ ઓવરમાં જુએરિયા ફરદૌસને ત્રીજી વખત જીવનદાન મળ્યું. તેણે સ્લોગ સ્વીપ રમ્યો હતો અને બોલ શોર્ટ થર્ડ મેન તરફ ગયો. નંદિનીએ દોડીને કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હાથમાં આવીને પણ છૂટી ગયો. આ જીવનદાનનો લાભ ઉઠાવી જુએરિયા ફરદૌસે 33 અને શોભના મોસ્તારીએ 22 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.

ઓસ્ટ્રેલિયા સામે મોંઘી પડી શકે છે આવી ભૂલો

ભારત આ મેચ તો જીતી ગયું, પરંતુ આવી ફિલ્ડિંગ ભૂલો આગામી કરો અથવા મરો જેવી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારે પડી શકે છે. આ પહેલાં દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પણ ભારતે મારિઝાન કપના ત્રણ કેચ છોડ્યા હતા. તેમાંના બે કેચ રાધા યાદવે છોડ્યા હતા, જેઓ ભારતીય ટીમની શ્રેષ્ઠ ફિલ્ડર્સમાં ગણાય છે. મારિઝાન કપે આ જીવનદાનનો પૂરો ફાયદો ઉઠાવી માત્ર 45 બોલમાં 81 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી અને દક્ષિણ આફ્રિકાને જીત અપાવી હતી.

ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે આવી ફિલ્ડિંગ ભૂલો ભારત માટે મેચનું પરિણામ બદલી શકે છે, કારણ કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મળેલા જીવનદાનનો પૂરો લાભ ઉઠાવવામાં નિષ્ણાત માનવામાં આવે છે.

Share This Article