સમાધાનનો કોઈ અવકાશ ન હોય તો સુપ્રીમ છૂટાછેડા મંજૂર કરશે

News KhabarPatri
1 Min Read

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સોમવારે છૂટાછેડા પર મહત્વનો ર્નિણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે જો પતિ-પત્ની વચ્ચેના સંબંધો એટલા બગડી ગયા હોય (જ્યારે સંબંધો એટલા ખરાબ થઈ જાય છે કે તેને ફરીથી પાટા પર લાવવા શક્ય નથી) કે સમાધાનનો કોઈ અવકાશ નથી, તો કોર્ટ ભારતના બંધારણની કલમ ૧૪૨ હેઠળ છૂટાછેડાની મંજુરી આપી શકે છે. કોર્ટે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે જો દંપતીના લગ્ન સંપૂર્ણપણે તૂટી ગયા છે અને સંબંધોમાં કોઈ સુધારો થવાની શક્યતા નથી, તો કોર્ટને લગ્ન રદ કરવાનો અધિકાર હશે. કોર્ટના આ વિશેષાધિકારથી જાહેર નીતિના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન થશે નહીં. કોર્ટે કહ્યું કે તેણે એવા પરિબળોને નિર્ધારિત કર્યા છે કે જેના આધારે લગ્નને સમાધાનની શક્યતાની બહાર ગણી શકાય. આ સાથે કોર્ટ એ પણ સુનિશ્ચિત કરશે કે પતિ-પત્ની વચ્ચે કેવી રીતે સમાનતા રહેશે. આમાં ભરણપોષણ અને બાળકોની કસ્ટડીનો સમાવેશ થાય છે. જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, એ. એસ ઓકા, વિક્રમ નાથ અને જે. કે મહેશ્વરીની બંધારણીય બેન્ચે કહ્યું છે કે જો દંપતીના છૂટાછેડા માટેના અગાઉના ચુકાદામાં નિર્ધારિત શરતો પુરી થાય છે તો પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે છ મહિનાની ફરજિયાત રાહ જોવાના સમયને દૂર કરી શકાય છે.

Share This Article