નિવૃત્ત IPS અધિકારીઓએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાતના ધક્કા વધી ગયા છે. ત્યારે ગત અઠવાડિયે અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે એક રિક્ષા ચાલકના ઘરે ભોજન કર્યું હતું અને તેની જ રિક્ષામાં બેસીને ઘાટલોડિયાના દંતાણી નગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. આ પહેલાં હોટલ તાજ સ્કાઈલાઈન ખાતે પ્રોટોકોલને કારણે તેમને રીક્ષામાં બેસતા રોકતા પોલીસ સાથે બબાલ થઈ હતી.  કેજરીવાલે લેખિતમાં સુરક્ષાને લઈ અને બાહેધરી આપી હતી અને રીક્ષામાં ત્યાંથી પોલીસ એસ્કોર્ટ સાથે ઘાટલોડિયા રીક્ષાચાલકના ઘરે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો એકઠા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે કેજરીવાલને કોર્ડન કરીને લઈ ગયા ત્યારે લોકોની ભીડે તેમને ધક્કે ચડાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડ બેકાબૂ બનતાં થોડીવાર માટે ઘર્ષણ થયું હતું. જેને લઇને ૩૦ નિવૃત્ત IPS અધિકારીઓએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે.  આ પત્રમાં અમદાવાદમાં રિક્ષા સવારી દરમિયાન અરવિંદ કેજરીવાલે પોલીસ અધિકારીઓ સાથે કરેલી ગેરવર્તણૂકનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવેદનથી પોલીસ વિભાગમાં દુઃખની લાગણી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ દિલ્હી અને પંજાબની સત્તારૂઢ આમ આદમી પાર્ટી ની માન્યતા રદ કરવા અંગે ૫૦ થી વધુ નિવૃત્ત અમલદારોએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. ૫૬ ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ ભારતના ચૂંટણી પંચ ને પત્ર લખીને ‘ચૂંટણીલક્ષી લોકશાહીનો નાશ કરવા’ માટે આમ આદમી પાર્ટીની માન્યતા પાછી ખેંચવાની માંગ કરી છે. આ ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને કન્વીનર અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી ‘અસંતુલિત અને વિવાદાસ્પદ’ ટિપ્પણી તરફ ધ્યાન દોર્યું હતું.  ભૂતપૂર્વ અમલદારોએ મુખ્ય ચૂંટણી કમિશનરને આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવા વિનંતી કરી છે કારણ કે તેના નેતા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં ગુજરાતમાં સરકારી અધિકારીઓને લાલચ આપવાનો કથિત પ્રયાસ કર્યો હતો જેથી પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થઈ શકે.  

ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ પત્રમાં જણાવ્યું હતું કે,  AAP ના કન્વીનર અને વર્તમાન મુખ્યમંત્રી તરફથી આવી ભડકાઉ ટિપ્પણીઓ રાજ્યની સંસ્થાઓ અને વાલીઓ પરના લોકોના વિશ્વાસને નિઃશંકપણે નબળી પાડે છે. જન પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૬A અને ૧૨૩ ટાંકીને, તેમણે કહ્યું કે AAP ભ્રષ્ટ વ્યવહારમાં સામેલ છે અને તેના કન્વીનરની અપીલ ચૂંટણીની લોકશાહીને નષ્ટ કરી રહી છે અને જાહેર સેવાને નબળી પાડે છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *