૧૦.૩૬ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

News KhabarPatri
2 Min Read

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે : રાપરમાં આંઢવારા તળાવનો વિકાસ કરાશે, થાનગઢમાં યોગ અને નોલેજ સેન્ટર નિર્માણ થશે, સિંહોરમાં ટાઉન હોલનું નિર્માણ કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરો-મહાનગરોની આગવી ઓળખ ઊભી થાય તેવા વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ત્રણ નગરપાલિકાઓને રૂ. ૧૦.૩૬ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આ સંદર્ભમાં કચ્છની રાપર નગરપાલિકાને આંઢવારા તળાવનો વિકાસ કરવા માટે રૂ. ૩ કરોડ ૩૬ લાખની રકમ મંજૂર કરી છે. એટલું જ નહિ, થાનગઢ નગરપાલિકાના યોગ અને નોલેજ સેન્ટર નિર્માણના રૂ. ર.૯૪ કરોડના કામની તથા સિંહોર નગરપાલિકામાં ટાઉન હોલ બનાવવાના રૂ. ૪ કરોડ ૬ લાખના કામો હાથ ધરવા પણ મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરોમાં આગવી ઓળખના કામો હાથ ધરવા નગરપાલિકાની કક્ષા પ્રમાણે રાજ્ય સરકાર નાણાં ફાળવણી કરે છે.

તદઅનુસાર, ‘અ’ વર્ગની નગરપાલિકાઓને બે વર્ષમાં રૂ. પાંચ કરોડ, ‘બ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ૪ કરોડ, ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ૩ કરોડ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ર કરોડ ફાળવવામાં આવે છે

મુખ્યમંત્રીએ જે ત્રણ નગરપાલિકાઓ રાપર, સિંહોર અને થાનગઢમાં આગવી ઓળખના કામો હાથ ધરવા રકમ ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમાં રાપર અને થાનગઢ ‘ક’ વર્ગની નગરપાલિકાઓ તથા સિંહોર ‘બ’ વર્ગની નગરપાલિકાની કક્ષામાં આવે છે.

આના પરિણામે, રાપરમાં આંઢવારા તળાવ ડેવલપમેન્ટના કામો માટે રૂ. ૩.૩૬ કરોડની દરખાસ્તમાંથી વધારાના ૩૬ લાખ નગરપાલિકાના સ્વભંડોળમાંથી ખર્ચ કરવાના રહેશે.

સિંહોર નગરપાલિકામાં પણ મળવાપાત્ર ગ્રાન્ટ કરતાં વધારાના રૂ. ૬ લાખ નગરપાલિકાના સ્વભંડોળમાંથી ઉપયોગમાં લેવાના રહેશે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *