ગીતા દર્શન  ૩૬        

News KhabarPatri
2 Min Read

ગીતા દર્શન  

  યદા સંહરતે ચ અયમ કૂર્મ: અંગાનિ ઇવ સર્વશ:I
    ઇન્દ્રીયાણિ ઇન્દ્રીયાર્થેભ્ય: તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠાતા  II ૨/૫૮ II

અર્થ :-

” કાચબો બધી બાજુથી જેમ પોતાના અંગો સંકોરી લે છે તેવી જ રીતે જ્યારે પુરુષ ઇન્દ્રીયોને તેના વિષયોમાંથી સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુધ્ધિ સ્થિર થાય છે. ”

બુધ્ધિને જ્ઞાનમાં સ્થિર કરવી હોય તો પુરુષે શું કરવું જોઇએ તેનો ઉપાય અહીં બતાવેલ છે. કાચબો દરિયામાં કે કોઇ  જળાશયમાં તરતો હોય છે ત્યારે તેના પગ ડોક વગેરે બહાર કાઢતો હોય છે પણ જ્યારે તેને કોઇ ભય દેખાય છે ત્યારે તે તેના પગ માથું તેમ જ જે કોઇ અંગ તેના  કઠણ કોચલાની બહાર હોય છે તેને તે પોતાના દેહની અંદર પરત ખેંચી લે છે અર્થાત સંકોરી લે છે. તેવી રીતે મનુષ્ય પોતાની ઇન્દ્રીયોને તેના સંબંધિત વિષયોમાંથી સંકોરી લે તો પછી તેને માટે  જ્ઞાનનો – ભક્તિનો ઇશ્વર તરફનો માર્ગ ખુલ્લો થાય છે. તેની બુધ્ધિ કે મન આમ તેમ ભટકવાનું બંધ કરી દે છે તેથી તેનું મન ઇશ્વર તરફ ખેંચાવા લાગે છે અને તેને પ્રભૂનું ધ્યાન થવા લાગે છે તેમ પણ કહી શકાય.બુધ્ધિ જ્ઞાનમાં સ્થિર થાય તે પછી તે મનુષ્યને કોઇ ચિંતા કે પ્રશ્નો સતાવતા નથી, કેમ કે જેને જ્ઞાન થઇ જાય છે તેને સુખ કે દુ:ખની કોઇ વિશેષ અસર પડતી જ નથી.એટલે આપણે બુધ્ધિને જ્ઞાનમાં સ્થિર કરવા સારુ ઇન્દ્રીયોને વિષયોમાંથી ફારેગ કરવી જ પડશે. અસ્તું.

  •  અનંત પટેલ

Share This Article