સંસ્કારોના સર્જક અને જીવનને સાચા માર્ગે દોરનાર ગુરુના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવાના પાવન અવસર “ગુરુપૂર્ણિમા” નિમિત્તે વિશ્વ ઉમિયાધામ, અમદાવાદ ખાતે દિવ્ય અને ભાવસભર કાર્યક્રમનું સફળ આયોજન સંપન્ન થયું. આ પાવન પ્રસંગે વિશ્વ ઉમિયાધામના પ. પૂ. કથાકાર શ્રી રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજી (પુરાણાચાર્ય માનસ રત્ન) દ્વારા જગત જનની મા ઉમિયાની ચરણ પાદુકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિશ્વ ઉમિયાધામના પ્રણેતાએ પ્રમુખ આદરણીય શ્રી આરપી પટેલ સાહેબ જગતજનની માં ઉમિયા ની ચરણ પાદુકાઓના પૂજન વિધિમાં પણ ભાગ લીધો હતો. ગુરુપૂર્ણિમા અંગે વાત કરતા શ્રી આર.પી. પટેલ જણાવે છે કે જીવનમાં દેવાધિદેવ મહાદેવ અને જગતજનની માં ઉમિયા આપણા સૌથી પહેલા ગુરુ છે. અને ત્યારબાદ ગુરુના પ્રતિનિધિ તરીકે આપણી વચ્ચે સન્યાસીઓ અને અમુક સંસારમાં રહીને પણ સન્યાસ જીવન જીવતા લોકો વંદનીય છે. આ ધરતી પર ભગવા કપડાં પહેરનાર તમામ લોકો ગુરુ નથી.
કાર્યક્રમનો પ્રારંભ સાંજે ૬:૩૦ કલાકે ભવ્ય શિવતાંડવ આરતી સાથે થયો હતો. ત્યારબાદ સાંજે ૭:૦૦ કલાકે મા ઉમિયાની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ધર્મસભા ગુરુપૂજન બાદ યોજાયેલ ધર્મસભામાં પૂજ્ય શાસ્ત્રીજીએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને જીવનમાં સંસ્કારોના મહત્વ પર પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું.આ દિવ્ય પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો અને શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ગુરુપૂજન અને ધર્મસભાનો લાભ લીધો હતો અને સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

