પાણી પુરવઠા મંત્રી તરીકે પદભાર સંભાળતા કુંવરજી બાવળિયા

News KhabarPatri
1 Min Read

પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ આજે સ્વર્ણિમ સંકુલ-ર, ગાંધીનગર ખાતે તેમનો પદભાર સંભાળી લીધો હતો.

પદભાર સંભાળ્યા બાદ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મને રાજ્ય સરકારમાં સેવા કરવાની જે તક આપી છે, તેમાં મારા ૩૦ વર્ષના જાહેર જીવનના અનુભવો થકી જનહિતના કામોને વધુ વેગવાન બનાવવાનો પ્રયાસ કરીશ.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની મને જવાબદારી સોંપવામાં આવી છે. તેમાં મારા ગ્રામ્ય જીવનના બહોળા અનુભવ થકી જનહિતના કામો કરવા હું સંનિષ્ઠ પ્રયાસો કરીશ. રાજ્ય સરકારે મારા પર જે વિશ્વાસ મૂકીને જવાબદારી સોંપી છે તેને હું નિષ્ઠાપૂર્વક બજાવીને છેવાડાના માનવીને રાજ્ય સરકારની યોજનાઓના લાભો વધુને વધુ પહોંચે તેવા પ્રયાસો કરીશ.

તેમણે ઉમેર્યું કે, પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની તમામ યોજનાઓના લાભો અંતરિયાળ વિસ્તારના લોકોને પહોંચાડવાના મારા સંનિષ્ઠ પ્રયાસો હશે.

Share This Article