શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમ જાહેર, 262 દિવસ બાદ દિગ્ગજ ઓલરાઉન્ડરની એન્ટ્રી

Rudra
2 Min Read

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજે એટલે કે 28 જુલાઈએ શ્રીલંકા સામે રમાનારી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે, જ્યારે કેએલ રાહુલને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે. ટીમની સૌથી મોટી ખાસિયત એ છે કે રવિન્દ્ર જાડેજાની 8 મહિના બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. જ્યારે જસપ્રીત બુમરાહનું રમવું તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે.

262 દિવસ બાદ જાડેજાની ટેસ્ટમાં વાપસી

શ્રીલંકા સામેની ટેસ્ટ ટીમની જાહેરાત પહેલાં સૌની નજર રવિન્દ્ર જાડેજાની પસંદગી પર હતી. જાડેજાએ પોતાનો છેલ્લો ટેસ્ટ 26 નવેમ્બર, 2025ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમ્યો હતો. ત્યારબાદ તેઓ ટેસ્ટ ઉપરાંત વન-ડે ટીમમાંથી પણ બહાર રહ્યા હતા. હવે તેઓ ફરી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરવા તૈયાર છે. 15 ઓગસ્ટે ગાલેમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં જાડેજા 262 દિવસ બાદ મેદાન પર જોવા મળશે. આ ઉપરાંત સ્પિનર સારાંશ જૈનને પ્રથમ વખત ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે.

બુમરાહ અને સાઈ સુદર્શન અંગે મોટું અપડેટ

BCCIએ જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શનને ટીમમાં સામેલ કર્યા છે, પરંતુ બંને ખેલાડીઓનું રમવું તેમની ફિટનેસ પર આધારિત રહેશે. તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડે મેચ બાદ બુમરાહને ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તેઓ નિર્ણાયક મેચમાંથી બહાર રહ્યા હતા. બુમરાહ અને સાઈ સુદર્શન સેન્ટર ઓફ એક્સલન્સ તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ જ રમી શકશે. સાથે જ BCCIએ જણાવ્યું કે વોશિંગ્ટન સુંદર પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયા: શુભમન ગિલ (કપ્તાન), કેએલ રાહુલ (ઉપકપ્તાન), યશસ્વી જયસવાલ, ઋષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, જસપ્રીત બુમરાહ*, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાડ, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન.

IND vs SL ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
પ્રથમ ટેસ્ટ: 15થી 19 ઓગસ્ટ – ગાલે
બીજી ટેસ્ટ: 23 ઓગસ્ટથી – કોલંબો

બંને ટેસ્ટ મેચો ભારતીય સમય અનુસાર સવારે 10:00 વાગ્યે શરૂ થશે.

Share This Article