અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડે મેચમાં ભારતે 9 વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વનડે શ્રેણીમાં અફઘાનિસ્તાનના સૂપડાં સાફ કર્યા હતા. આ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે વનડે ટીમમાં રોહિત શર્માના ભવિષ્ય અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. રોહિત શર્મા પ્રથમ બે મેચોમાં મોટી ઇનિંગ રમી શક્યો નહોતો, પરંતુ ત્રીજી મેચમાં તેમણે 79 રનની ઉત્તમ ઇનિંગ રમી હતી.
હકીકતમાં, અફઘાનિસ્તાન સામેની આ શ્રેણીથી ભારતીય ટીમે 2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીઓને પ્રારંભિક સ્વરૂપ આપ્યું છે. યુવા ખેલાડીઓને તક આપીને શ્રેષ્ઠ ટીમ કોમ્બિનેશન તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ત્રીજી વનડે બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શુભમન ગિલને પૂછવામાં આવ્યું હતું કે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમનું ઓપનિંગ કોમ્બિનેશન કેવું રહેશે? તેના જવાબમાં ગિલે કહ્યું, “જ્યારે તમારી ટીમના તમામ ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા હોય, ત્યારે તે માથાનો દુખાવો ગણાય.”
રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં કુલ 143 રન બનાવ્યા હતા, જેમાં ત્રીજી મેચની 79 રનની ઇનિંગ ખાસ નોંધપાત્ર રહી હતી.
ગિલે વધુમાં જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટેની ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાનો ઇંગ્લેન્ડ પ્રવાસ 1 જુલાઈથી શરૂ થશે. પહેલા પાંચ મેચોની ટી-20 શ્રેણી રમાશે, ત્યારબાદ 14થી 19 જુલાઈ દરમિયાન ત્રણ મેચોની વનડે શ્રેણી યોજાશે.
શુભમન ગિલે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને “અનલકી ખેલાડી” પણ ગણાવ્યો હતો. ગિલે કહ્યું કે જ્યારે તમામ ખેલાડીઓ ઉપલબ્ધ હોય છે ત્યારે દુર્ભાગ્યે યશસ્વી જયસ્વાલને જ ઘણીવાર પ્લેઇંગ ઇલેવનની બહાર બેસવું પડે છે.
ત્રીજી વનડેમાં યશસ્વી જયસ્વાલે અણનમ 110 રનની શાનદાર સદી ફટકારી હતી, જે તેમના વનડે કારકિર્દીની બીજી સદી હતી.
ગિલે કહ્યું, “કારણ કે વિરાટ ભાઈ આ શ્રેણીમાં રમ્યા નહોતા, તેથી યશસ્વીને બે મેચ રમવાની તક મળી. આજે તેણે શાનદાર બેટિંગ કરી. આશા છે કે તે પોતાની આ ઉત્તમ ફોર્મ જાળવી રાખશે અને આગળ પણ મળતી તકનો ભરપૂર લાભ ઉઠાવશે.”

