ભારતીય રેલવેએ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી પરિવહન તરફ વધુ એક મોટું પગલું ભર્યું છે. ઉત્તર રેલવેના જિંદ–સોનીપત રૂટ પર 10 કોચની હાઈડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રેલવે મંત્રાલયે બુધવારે આ અંગે સત્તાવાર માહિતી જાહેર કરી હતી.
આ ટ્રેન 1,200 કિલોવોટ ક્ષમતા ધરાવતી હાઈડ્રોજન ફ્યુઅલ સેલ પ્રોપલ્શન સિસ્ટમથી સંચાલિત રહેશે અને તેની મહત્તમ ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આ પહેલ સાથે ભારત હવે જર્મની, જાપાન, ચીન અને અમેરિકા જેવા દેશોની યાદીમાં સામેલ થયું છે, જે હાઈડ્રોજન આધારિત સ્વચ્છ રેલ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે.
રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટેક્નોલોજી હાઈડ્રોજનની રાસાયણિક પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયામાં માત્ર પાણીની વરાળ જ બહાર પડે છે, જેના કારણે તે પરંપરાગત ડીઝલ અથવા અન્ય ઈંધણ આધારિત ટ્રેક્શનની સરખામણીએ વધુ સ્વચ્છ વિકલ્પ માનવામાં આવે છે.
આ પ્રોજેક્ટ માટે જિંદ–સોનીપત રૂટને પાયલટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ટ્રેન માટે સ્વદેશી હાઈડ્રોજન સ્ટોરેજ અને રિફ્યુઅલિંગ સુવિધા જિંદ ખાતે ઉભી કરવામાં આવી છે.
Petroleum and Explosives Safety Organisation (PESO) દ્વારા સંકુચિત હાઈડ્રોજન ગેસના સંગ્રહ અને વિતરણ માટે જરૂરી મંજૂરી આપવામાં આવી છે. સાથે જ હાઈડ્રોજન કોમ્પ્રેશન સિસ્ટમ અને જરૂરી ટેક્નિકલ સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
હાઈડ્રોજન ટ્રેનના સલામત સંચાલન માટે અનેક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. તેમાં હાઈડ્રોજન લીક ડિટેક્ટર, ફ્લેમ ડિટેક્ટર અને અન્ય સેન્સરની નિયમિત તપાસ તથા સફાઈનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત Research Designs and Standards Organisation (RDSO)ની મંજૂરી સાથે ઓપરેશન અને મેન્ટેનન્સ મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યા છે. શકુરબસ્તી ખાતે મેન્ટેનન્સ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થાઓ અને નિયમિત ઓડિટની પણ યોજના બનાવવામાં આવી છે.
પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં તાલીમબદ્ધ ટેક્નિકલ સ્ટાફ ટ્રેન સાથે મુસાફરી કરશે, જેથી કામગીરીમાં કોઈ મુશ્કેલી ન સર્જાય. સાથે જ 24×7 મોનિટરિંગ, નિયમિત તપાસ અને પ્રમાણિત સ્ટાફની નિમણૂક જેવા સુરક્ષા પ્રોટોકોલ પણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
ભારતીય રેલવેની આ પહેલ સ્વચ્છ ઊર્જા, નવીનતા અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન તરફના દેશના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે.
