મુંબઈ: અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટી એક સમયે બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીઓમાં ગણાતા હતા. બંનેના સંબંધોની ચર્ચા અવારનવાર હેડલાઇન્સમાં રહેતી હતી. અક્ષય અને શિલ્પાના લગ્નને લઈને પણ તે સમયે ભારે ચર્ચા હતી, પરંતુ બાદમાં બંનેના બ્રેકઅપથી ચાહકોને મોટો આઘાત લાગ્યો હતો.
અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીએ પડદા પર પણ અનેક ફિલ્મોમાં રોમાન્સ કર્યો છે. બંને ‘ધડકન’, ‘મૈં ખિલાડી તૂ અનાડી’, ‘જાનવર’ અને ‘ઇન્સાફ’ જેવી હિટ ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. તેમની જોડીને દર્શકો તરફથી હંમેશા ભરપૂર પ્રેમ અને સપોર્ટ મળ્યો હતો.
1999માં આવેલી હિટ ફિલ્મ ‘જાનવર’ના દિગ્દર્શક સુનીલ દર્શને તાજેતરમાં ફિલ્મના શૂટિંગના દિવસોને યાદ કરતાં અક્ષય અને શિલ્પાના સંબંધ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન અક્ષય અને શિલ્પા એકબીજાની ખૂબ નજીક હતા અને બંને લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા હતા.
‘મિનિટ્સ ઑફ મસાલા’ને આપેલા એક ઇન્ટરવ્યુમાં સુનીલ દર્શને કહ્યું કે અક્ષય કુમાર અને શિલ્પા શેટ્ટીનો સંબંધ ખૂબ જ મજબૂત હતો. તેમને લાગતું હતું કે બંને લગભગ લગ્ન કરવાના જ હતા. જોકે, નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. બંને વચ્ચે કેટલીક ગેરસમજ ઊભી થઈ અને ત્યારબાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું.
સુનીલ દર્શને એ પણ જણાવ્યું કે ‘જાનવર’ ફિલ્મ પહેલાં અક્ષય કુમાર પોતાના કરિયરના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની ઘણી ફિલ્મો સતત ફ્લોપ થઈ રહી હતી, જેના કારણે તે સમયે ઘણા પ્રોડ્યુસર્સ અક્ષય કુમાર સાથે કામ કરવાથી દૂર રહેતા હતા.
પરંતુ 1999માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘જાનવર’ની સફળતાએ અક્ષય કુમારના કરિયરને નવી દિશા આપી. સુનીલ દર્શનના જણાવ્યા અનુસાર, ‘જાનવર’ રિલીઝ થઈ અને હિટ સાબિત થઈ. આ ફિલ્મ બાદ અક્ષય કુમારના સ્ટારડમે પહેલી મોટી છલાંગ લગાવી.
અક્ષય કુમારે બોલિવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કર્યા બાદ તેમની અગાઉ અટકેલી ફિલ્મો ‘હેરા ફેરી’ અને ‘ધડકન’નું કામ પણ ઝડપથી આગળ વધ્યું. ત્યારબાદ અક્ષય કુમારે ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને બોલિવૂડના ટોચના સ્ટાર્સમાં પોતાનું સ્થાન બનાવી લીધું.

