અમદાવાદ : પશ્ચિમ ભારતના અગ્રણી સ્થાનિક અને આઉટબાઉન્ડ પ્રવાસન બજાર તરીકે ગુજરાતના વધતા મહત્વને ઉજાગર કરતાં TTF અમદાવાદ 2026 નો આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં ભવ્ય પ્રારંભ થયો છે. ફેરફેસ્ટ મીડિયા દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ટ્રાવેલ ટ્રેડ પ્રદર્શન 6થી 8 ઓગસ્ટ, 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે, જેમાં ભારત તથા વિદેશના પ્રવાસન બોર્ડ્સ, ટ્રાવેલ કંપનીઓ, હૉસ્પિટાલિટી બ્રાન્ડ્સ, એરલાઇન્સ, પ્રવાસન આકર્ષણો, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ કંપનીઓ (DMCs) તેમજ ટ્રાવેલ ટેક્નોલોજી પ્રદાતાઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે.
TTF અમદાવાદ 2026 નું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મુખ્ય અતિથિ તરીકે કરવામાં આવ્યું હતું. આ અવસરે જાહેર કરાયેલા પોતાના સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, “ગત બે દાયકાથી ગુજરાતમાં યોજાતો આ ટ્રાવેલ ટ્રેડ ફેર રાજ્યના પ્રવાસન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ પ્રદર્શન પ્રવાસન સ્થળોના પ્રચાર-પ્રસાર, વ્યાવસાયિક ભાગીદારીને મજબૂત બનાવવા તેમજ પ્રવાસન ક્ષેત્રના વિવિધ હિતધારકોને એક મંચ પર લાવવામાં અસરકારક સાબિત થયું છે. રાજ્ય સરકારે વર્ષ 2026ને ‘પર્યટન વર્ષ’ તરીકે જાહેર કર્યું છે ત્યારે આ ટ્રાવેલ ફેર ગુજરાતના પ્રવાસન સ્થળો અને તકોને વૈશ્વિક સ્તરે વધુ વ્યાપક ઓળખ અપાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.”
આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ઉત્તરાખંડ સરકારના માનનીય પ્રવાસન, જાહેર નિર્માણ, સિંચાઈ, સંસ્કૃતિ, ગ્રામ્ય વિકાસ અને લઘુ સિંચાઈ મંત્રી સતપાલ મહારાજ, ગોવા સરકારના માનનીય પ્રવાસન, માહિતી પ્રૌદ્યોગિકી, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી મંત્રી રોહન એ. ખાઉન્ટે તેમજ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ કુલદીપ આર્યા (IAS) મહાનુભાવ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, ગુજરાત ટુરિઝમના કમિશનર તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિપિન ગર્ગ (IAS), ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર શ્રી વાય. એસ. ચૌધરી (IAS) સહિત પ્રવાસન ક્ષેત્રના અનેક અગ્રણીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વૈશ્વિક પ્રવાસન સ્થળો, ભારતીય રાજ્ય પ્રવાસન બોર્ડ્સ અને અગ્રણી ટ્રાવેલ બ્રાન્ડ્સની નોંધપાત્ર ભાગીદારી
TTF અમદાવાદ 2026માં 10 દેશોના 900થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે, જે પ્રવાસન સ્થળો, હૉસ્પિટાલિટી, પ્રવાસન સેવાઓ, હોલિડે પેકેજ, ટ્રાવેલ ટેક્નોલોજી અને વિવિધ પ્રવાસન અનુભવોનું પ્રદર્શન કરી રહ્યા છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમ સંપૂર્ણપણે B2B નેટવર્કિંગ પર કેન્દ્રિત છે.
ઇઝરાયલ આ વર્ષની Featured Country તરીકે ભાગ લઈ રહ્યું છે. તેની સાથે વિયેતનામ, શ્રીલંકા, સંયુક્ત આરબ અમીરાત (UAE), નેપાળ, અમેરિકા, ચીન, થાઇલેન્ડ અને ભૂટાન જેવા દેશો પણ પોતાની પ્રવાસન ક્ષમતાઓ રજૂ કરી રહ્યા છે.
ગુજરાત ટુરિઝમ આ વર્ષની યજમાન રાજ્ય તરીકે જોડાયું છે. જ્યારે ગોવા, ઉત્તરાખંડ, ઓડિશા, રાજસ્થાન, કેરળ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પંજાબ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને કર્ણાટક પાર્ટનર રાજ્ય તરીકે ભાગ લઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળ, તેલંગાણા, તમિલનાડુ, આસામ, દિલ્હી અને મેઘાલય ફીચર સ્ટેટ્સ તરીકે દેશના વૈવિધ્યસભર પ્રવાસનનું પ્રદર્શન કરી રહ્યા છે.
આ પ્રસંગે ફેરફેસ્ટ મીડિયાના ચેરમેન અને CEO સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, “મજબૂત અર્થવ્યવસ્થા, વધતી ખરીદ શક્તિ અને પ્રવાસન પ્રત્યે ગુજરાતીઓનો ઉત્સાહ રાજ્યને ભારતના સૌથી મહત્વપૂર્ણ ટ્રાવેલ સોર્સ માર્કેટ્સમાં સ્થાન અપાવે છે. આ જ કારણ છે કે TTF અમદાવાદ આજે સમગ્ર TTF શ્રેણીનું સૌથી મોટું પ્રદર્શન બની ગયું છે, જ્યાં અન્ય કોઈ પણ શહેર કરતાં વધુ એક્ઝિબિટર્સ ભાગ લે છે. પ્રવાસન સ્થળો, રાજ્ય પ્રવાસન બોર્ડ્સ અને ટ્રાવેલ બ્રાન્ડ્સ માટે પશ્ચિમ ભારતના ટ્રાવેલ ટ્રેડ સુધી પહોંચવાનો આ સૌથી અસરકારક અને વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે, ખાસ કરીને તહેવારો અને શિયાળાની પ્રવાસન સીઝન પહેલાં.”
ગુજરાતનું મજબૂત ઔદ્યોગિક અને વ્યાપારી વાતાવરણ, સક્રિય ટ્રાવેલ ટ્રેડ નેટવર્ક અને સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસોની વધતી માંગને કારણે અમદાવાદ પશ્ચિમ ભારતના પ્રવાસન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.
આ વૃદ્ધિનું પ્રતિબિંબ શહેરના વિસ્તરતા હવાઈ જોડાણમાં પણ જોવા મળે છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન કુલ 1.38 કરોડથી વધુ મુસાફરો ની અવરજવર નોંધાવી હતી, જેમાં 1.14 કરોડ સ્થાનિક અને 24 લાખ આંતરરાષ્ટ્રીય મુસાફરો નો સમાવેશ થાય છે.
આ જ ગતિને આગળ વધારતા TTF અમદાવાદ 2026 ગુજરાત તેમજ પશ્ચિમ ભારતના અન્ય બજારોના ટ્રાવેલ ખરીદદારોને વિવિધ દેશો, રાજ્ય પ્રવાસન બોર્ડ્સ અને ટ્રાવેલ બ્રાન્ડ્સ સાથે સીધા જોડવાનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. B2B નેટવર્કિંગ, ડેસ્ટિનેશન પ્રમોશન અને નવા વ્યાવસાયિક અવસરોના વિકાસ પર કેન્દ્રિત આ પ્રદર્શન ભારતના સૌથી સક્રિય પ્રવાસન બજારોમાંના એકને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

