ભારતમાં હાઈ-સ્પીડ રેલનું સપનું હવે હકીકત બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને હવે તેના પ્રથમ તબક્કાની શરૂઆતની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો પહેલો તબક્કો 15 ઓગસ્ટ, 2027થી શરૂ કરવામાં આવશે.
રેલવે મંત્રીએ શું કહ્યું?
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો સુરત અને બિલીમોરા વચ્ચે 15 ઓગસ્ટ, 2027થી શરૂ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે ત્યારબાદ તબક્કાવાર સમગ્ર પ્રોજેક્ટનો વિસ્તાર કરવામાં આવશે. પ્રથમ વાપીથી સુરત, ત્યારબાદ વાપીથી અમદાવાદ, પછી અમદાવાદથી ઠાણે અને અંતે અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે પણ મંત્રીના નિવેદનનો વીડિયો શેર કરીને જણાવ્યું કે, “ભારતની પ્રથમ બુલેટ ટ્રેન હવે તેના આગામી તબક્કામાં પ્રવેશી રહી છે.”
મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે
અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં વિકસનારા હાઈ-સ્પીડ રેલ કોરિડોરથી અનેક મોટા શહેરો વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો થઈ જશે.
પુણેથી હૈદરાબાદની મુસાફરી અંદાજે 2 કલાકમાં પૂર્ણ થશે.
હૈદરાબાદથી મુંબઈનું અંતર આશરે 2 કલાક 50 મિનિટમાં કાપી શકાશે.
હૈદરાબાદથી અમરાવતી માત્ર 1 કલાક 10 મિનિટમાં પહોંચી શકાશે.
હૈદરાબાદથી ચેન્નાઈની મુસાફરી લગભગ 3 કલાકમાં પૂર્ણ થશે.
હૈદરાબાદથી બેંગલુરુ પહોંચવામાં માત્ર 2 કલાક 35 મિનિટનો સમય લાગવાની શક્યતા છે.
હૈદરાબાદ બનશે હાઈ-સ્પીડ રેલ હબ
રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું કે ત્રણ મોટા બુલેટ ટ્રેન કોરિડોર શરૂ થયા બાદ હૈદરાબાદ હાઈ-સ્પીડ રેલ હબ તરીકે વિકસશે. ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફાળવવામાં આવેલા ₹5,400 કરોડના રેલવે બજેટના કારણે તેલંગાણાના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મોટા પાયે પરિવર્તન જોવા મળશે.

