નવી દિલ્હી: ઘણી વખત આપણે સામાન્ય વાતચીતમાં કહીએ છીએ કે મૃત્યુ ક્યારે અને કેવી રીતે આવી જાય તે કોઈ કહી શકતું નથી. શ્રીલંકામાં રમાયેલી એક ક્રિકેટ મેચ દરમિયાન બનેલી એક દુઃખદ ઘટનાએ આ વાતને ફરી એકવાર સાચી સાબિત કરી છે. આનંદ, મિત્રતા અને રમતગમતની ભાવના સાથે રમાઈ રહેલી મેચ પળવારમાં શોકમાં ફેરવાઈ ગઈ.
રવિવારે શ્રીલંકાના બેરુવાલામાં આયોજિત એક ફ્રેન્ડલી ક્રિકેટ મેચ દરમિયાન એક ખેલાડી મેદાન પર જ અચાનક ઢળી પડ્યો હતો. આ મેચ ઓલ્ડ બોયઝ એસોસિએશન દ્વારા આયોજિત ક્રિકેટ કાર્નિવલનો ભાગ હતી. મૃતકની ઓળખ ઝુલ્ફિકાર તરીકે થઈ છે. સ્થાનિક અહેવાલો મુજબ તેમની ઉંમર 45થી 46 વર્ષની વચ્ચે હતી. તેઓ બેરુવાલાના ચાઇના ફોર્ટ વિસ્તારની એક અગ્રણી મુસ્લિમ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચે રમાઈ રહેલી મેચમાં ભાગ લઈ રહ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ઝુલ્ફિકાર બેટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક ક્રીઝ પર જ બેભાન થઈને ઢળી પડ્યા. મેચનું લાઇવ પ્રસારણ પણ થઈ રહ્યું હતું. તે સમયે તેઓ ત્રણ બોલમાં છ રન બનાવી ચૂક્યા હતા. આ ઘટના વખતે ટીમનો સ્કોર 3.4 ઓવરમાં 37/5 હતો, ત્યારબાદ મેચ તરત જ રોકી દેવામાં આવી હતી.
Heartbreaking tragedy in Beruwala. Sri Lanka 🇱🇰
A young cricketer collapsed and passed away while batting during a school old boys’ association cricket carnival today. He was on 6* off 3 balls when he suffered a suspected heart attack. The tournament has been suspended. pic.twitter.com/tUvjzbWuwH
— Nibraz Ramzan (@nibraz88cricket) July 5, 2026
મેદાન પર હાજર લોકોએ તરત જ તેમને પ્રાથમિક મદદ આપી અને બેરુવાલા રિજનલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ ઘટનાથી ખેલાડીઓ, આયોજકો અને દર્શકોમાં ભારે શોક છવાઈ ગયો છે. આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર ટૂર્નામેન્ટને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર ઝુલ્ફિકારનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી તેનું સત્તાવાર કારણ જાહેર કર્યું નથી. બેરુવાલા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ તથા મેડિકલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
આ દરમિયાન બેરુવાલામાં ઝુલ્ફિકારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો તેમની યાદોને શેર કરી રહ્યા છે. મિત્રો સાથે માત્ર રમતનો આનંદ માણવા મેદાન પર આવેલા ઝુલ્ફિકાર ક્યારેય પોતાના ઘરે પરત ફરી શક્યા નહીં, જેના કારણે સમગ્ર વિસ્તાર અને ક્રિકેટપ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી ગઈ.

