નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2026ની ચેમ્પિયન ભારતીય ટીમને આયર્લેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત આયર્લેન્ડે ભારતને કોઈપણ ફોર્મેટની મેચમાં હરાવ્યું છે. ભારતના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આયર્લેન્ડ તરફથી લોર્કન ટકરે 50 અને ગેરેથ ડેલાનીએ 49 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી ટીમને 20 ઓવરમાં 182 રન સુધી પહોંચાડી. જવાબમાં ભારતીય ટીમ 18.5 ઓવરમાં માત્ર 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
1. પ્રસિદ્ધ કૃષ્ણા : ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ભારતની હારના સૌથી મોટા જવાબદાર સાબિત થયા. તેમણે 4 ઓવરમાં 57 રન લૂંટાવ્યા અને એક પણ વિકેટ મેળવી શક્યા નહીં. તેમના એક ઓવરમાં તો 27 રન આવ્યા હતા, જેના કારણે આયર્લેન્ડ મોટો સ્કોર ઉભો કરવામાં સફળ રહ્યું. જો તેમની બોલિંગ વધુ અસરકારક રહી હોત તો મેચનું પરિણામ અલગ હોઈ શકતું.
2. શ્રેયસ અય્યર : ભારતીય ટીમના નવા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર માટે આ મેચ ખાસ હતી, પરંતુ તે કેપ્ટનશિપ અને બેટિંગ બંનેમાં નિષ્ફળ રહ્યો. બોલિંગમાં તેણે સુંદર અને પ્રસિદ્ધ ક્રિષ્ના પર વધુ વિશ્વાસ મૂક્યો, જે ખોટો નિર્ણય સાબિત થયો. બેટિંગમાં પણ તેઓ માત્ર 7 બોલમાં 3 રન બનાવી આઉટ થયા. કેપ્ટન તરીકે તેમની પાસેથી વધુ જવાબદાર ઇનિંગ્સની અપેક્ષા હતી.
3. તિલક વર્મા : ટી20 ટીમના ઉપ-કેપ્ટન તિલક વર્મા સામાન્ય રીતે દબાણની પરિસ્થિતિમાં જવાબદારીપૂર્વક રમતો જોવા મળે છે. પરંતુ આ મેચમાં તેઓ 21 બોલમાં માત્ર 19 રન બનાવી આઉટ થયો. ખાસ કરીને રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં કેચ આઉટ થવું ટીમ માટે ભારે પડ્યું.
4. વોશિંગ્ટન સુંદર : વોશિંગ્ટન સુંદર ઓલરાઉન્ડર તરીકે બોલિંગ અને બેટિંગ બંનેમાં નિષ્ફળ રહ્યો. બોલિંગમાં તેમણે માત્ર એક ઓવરમાં 19 રન આપ્યા, જ્યારે બેટિંગમાં 12 બોલ રમ્યા છતાં માત્ર 9 રન જ બનાવી શક્યો. તેના નબળા પ્રદર્શનને કારણે આગામી મેચમાં તેમને બહાર બેસાડવામાં આવે તો નવાઈ નહીં.
5. ઈશાન કિશન: આઈપીએલ 2026થી જબરદસ્ત ફોર્મમાં રહેલા ઈશાન કિશન પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. સંજુ સેમસન આઉટ થયા બાદ તેણે જવાબદારીપૂર્વક રમવું જરૂરી હતું, પરંતુ બેદરકારીભર્યો શોટ રમી પોતાની વિકેટ ગુમાવી. તેમના વહેલા આઉટ થતાં ભારતીય ટીમ પર દબાણ વધી ગયું અને મેચ હાથમાંથી નીકળી ગઈ.

