ભરૂચમાં ACBની સફળ ટ્રેપ: હેડ કોન્સ્ટેબલ રૂ. 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Rudra
2 Min Read

ભરૂચ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી સરકારી કર્મચારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન હેઠળની ભાડકોદ્રા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ ઇશ્વરભાઈ પરમારને રૂ. 25 હજારની લાંચ સ્વીકારતા ACBની ટીમે ઝડપી લીધો હતો.

મળતી માહિતી મુજબ, ફરિયાદી વેપાર સાથે સંકળાયેલા છે અને તેમના વેપાર સંબંધિત બેંક ખાતાને સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું. બેંક ખાતું અનફ્રીઝ કરાવવા માટે હેડ કોન્સ્ટેબલ સુનીલભાઈ પરમાર દ્વારા ફરિયાદીનો વારંવાર ફોન પર સંપર્ક કરી લાંચની માંગણી કરવામાં આવતી હતી. બાદમાં આરોપીએ ફરિયાદીને રૂબરૂ મળી બેંક ખાતું અનફ્રીઝ કરાવવા બદલ રૂ. 25 હજારની લાંચ માગી હતી.

ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ ACB વડોદરા શહેર ફિલ્ડ યુનિટે ફરિયાદ સાચી હોવાનું જણાતા ટ્રેપ ગોઠવ્યો હતો.

ટ્રેપ દરમિયાન અંકલેશ્વર તાલુકાના વાલિયા ચોકડીથી ભરૂચ જતા માર્ગ પર આવેલ પાટીદાર રજવાડી ટી સ્ટોલ બહાર આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ રૂ. 25 હજારની લાંચની રકમ સ્વીકારી હતી. તે જ સમયે ACBની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી પાડી લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પોતાના રાજ્ય સેવકના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હતી. હાલ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.

આ ટ્રેપની કાર્યવાહી ACB વડોદરા ફિલ્ડના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એન. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરીનું સુપરવિઝન મદદનીશ નિયામક બી. એમ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ACB વડોદરા રેન્જના નાયબ નિયામક અને IPS અધિકારી બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

ACBએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સરકારી કર્મચારી લાંચની માંગણી કરે તો ટોલ ફ્રી નંબર 1064 પર તાત્કાલિક જાણ કરી ભ્રષ્ટાચાર સામે લડતમાં સહયોગ આપે.

Share This Article