સૂર્યા ચૌહાણ હત્યાકાંડનો મુખ્ય આરોપી અસદને ઉત્તરપ્રદેશ પોલીસે એન્કાઉન્ડરમાં ઠાર કર્યો છે. ગાજિયાબાદના ખોડામાં બકરી ઈદના દિવસે સૂર્યા ચૌહાણની હત્યાના કારણે આખા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. અસદ હત્યાકાંડને અંજામ આપ્યા પછી ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ સૂર્યા ચૌહાણના મોત પછી તેના પરિવારજનો અને ઘણાં હિન્દુ સંગઠનો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. પોલીસ પાસે અસદનું એન્કાઉન્ટર કરવાની માગ કરી રહ્યાં હતા. એવામાં પોલીસ પર પણ અસદને પકડવાનું દબાણ હતુ.
અસદના એન્કાઉન્ટર અંગે સૂર્યા ચૌહાનની માતા સરોજે જણાવ્યું હતું કે, “મેં માત્ર એક વ્યક્તિના એન્કાઉન્ટર વિશે સાંભળ્યું છે, પરંતુ મારે અસદની તસવીર જોવી છે. તસવીર જોયા પછી જ મને સંતોષ મળશે. બાકીના આરોપીઓ સાથે પણ આવું જ થવું જોઈએ. મારા પુત્રની હત્યા સાત લોકોએ મળીને કરી હતી, તેથી તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ તેમના ઘરો પર પણ બુલડોઝર કાર્યવાહી થવી જોઈએ.”
ઉલ્લેખનીય છે કે ગાજિયાબાદના ખોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવીન વિહારમાં બકરી ઈદના દિવસે સૂર્યા ચૌહાનની ચાકૂના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી અસદ સતત ફરાર હતો. પોલીસ તેની શોધખોળ માટે સતત દરોડા અને ચેકિંગ અભિયાન ચલાવી રહી હતી.
ખોડાથી લઈને ઇન્દિરાપુરમ વિસ્તાર સુધી અસદની શોધખોળ ચાલી રહી હતી. પોલીસને શંકા હતી કે અસદ પોતાના ઘરની આસપાસ જરૂર આવશે. દરમિયાન ઇન્દિરાપુરમ વિસ્તારમાં ખોડા અને ઇન્દિરાપુરમ પોલીસને અસદની હાજરી અંગે માહિતી મળી હતી.
માહિતીના આધારે પોલીસે ઘેરાબંધી કરીને આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આરોપી અસદે પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યારબાદ પોલીસ અને અસદ વચ્ચે અનેક રાઉન્ડ ફાયરિંગ થયું હતું.
પોલીસની જવાબી કાર્યવાહીમાં અસદને ગોળી વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે તેનો એક સાથીદાર ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. ઘાયલ અસદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, અસદ પોતાના સાથી સાથે બાઇક પર આવ્યો હતો. પોલીસે બાઇક જપ્ત કરી છે તેમજ જે હથિયારથી તેણે ગોળીબાર કર્યો હતો તે પણ કબજે લેવામાં આવ્યું છે. હાલ ફરાર આરોપીની શોધ માટે કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
