મિત્રો, ગઈ યુગપત્રીમાં આપણે જોયું કે જીવનમાં માત્ર પ્રેમ જ મહત્વનો નથી. કોઈ વ્યક્તિ આપણને છોડીને જતી રહે છે તો આપણું જીવન ત્યાં પુરુ નથી થઈ જતું. દૂધ જ્યારે ફાટી જાય છે ત્યારે એ લોકો ક રડે છે જેને ફાટેલા દૂધમાંથી પનીર બનાવતા નથી આવડતું અને દિલ જ્યારે તુટે છે ત્યારે એવા લોકો જ જીવનથી હારી જાય છે જેને તુટેલા દિલ સાથે જીવતા નથી આવડતું. માટે જો કોઈ છોડીને જાય તો એને જવા દો કારણકે જીવનમાં જેને ચાહીએ છીએ એને પામી લેવું મહત્વનું નથી. ક્યારેક એવું પણ બને કે એ ના પણ મળે એમ છતાં એને ચાહવું એ જ સાચા પ્રેમની નિશાની છે.પ્રેમ છે એ કોઈ વ્યક્તિના શરીરથી નહીં પણ એના આત્માને થતો હોય છે. જ્યાં આકર્ષણ છે ત્યાં ભોગ છે અને જ્યા પ્રેમ છે ત્યાં ભવ્યતા છે. માટે એવું પણ બને કે તમે જેને પ્રેમ કરો છો એ સદેહે તમારી સાથે ના રહી શકે પણ એનો આત્મા,એનું મન તો સદા તમારી સાથે જ હોય છે.
પરવીન શાકિરની ખુબ સરસ રચના છે કે
मुझ पे अहसान हवा करती है,
तेरी खुश्बू का पता करती है ।
જેને ચાહો છો એની બાહોમાં જ જીવન વિતાવવું એવું જરૂરી નથી પણ ક્યારેક એવું પણ બને કે તમે એનાથી ખૂબ દૂર હો છતાં પણ તમને એની ખુશ્બૂ આવતી હોય માટે એવો પ્રેમ કે જે માત્ર શરીરથી નહિ પણ શરીરમા રહેલા આત્માને થતો હોય છે. માટે એવું લખાય કે,
तन से तन का मिलन हो न पाया तो क्या
જેને પ્રેમ કરીએ કદાચ એની સાથે તમે જીવન નથી જીવી શકતા પણ એક વાર કોઈની સાથે મન મળી જાય એ મહત્વનું છે. આજના જમાનામાં કોઈ પણ બે વ્યક્તિ એકબીજાને પસંદ કરી લે છે પણ મન મળતાં વાર લાગે છે. અને એકવાર જેની સાથે મન મળી જાય પછી ત્યાં બીજું કોઈ જોવાનું બાકી નથી રહેતું. હજી પણ આ જમાના માં લોકો લગ્ન પહેલા કુંડળી મળે છે કે નહીં એ જુએ છે પણ એકબીજાના મન મળે છે કે નહીં એ નથી જોતા. સૌથી વધુ મહત્વનું તો મન મળવાનું છે. માટે એવું લખાય કે
मन से मन का मिलन कोई कम तो नहीं
અને એકવાર મન મળી જાય પછી તમે ક્યાંય પણ રહો તમે એ વ્યક્તિ સાથે મનથી કોન્ટેક્ટમાં જ હોવ છો. જીવનમાં આપણે ફૂલની સુગંધને મહત્વ આપીએ છીએ એ ફૂલ ક્યાં બગીચાનું છે અને ક્યાંથી આવ્યું છે એ મહત્વનું નથી .પ્રેમ થવો મહત્વનું છે પ્રેમ મળે કે ના મળે એ મહત્વનું નથી. માટે એવું લખાય કે,
खुशबू आती रहे दूर से ही सही
सामने हो चमन कोई कम तो नहीं
જીવનમાં બધાને બધું નથી મળતું અને જો એવું થતું હોત તો કોઈ માણસને કોઈ પણ વસ્તુની કદર ના હોત. જીવનમાં બધું આપણને જોઇએ એવું નથી થતું પણ કંઈક અગમ અગોચર ના પ્લાન પ્રમાણે થતું હોય છે. આપણને બધાને એવી ઈચ્છા હોય કે મને ચાંદ જ મળે પણ એ એક જ ચાંદ છે અને એને ચાહવા વાળા લાખો છે. બધાને તો એ કેમ મળે !? માટે જો ચાંદના બદલે તમને દિવો મળે તો એની પણ કદર કરો કારણકે જે ગુણ અને ઉપયોગ આપણાં માટે ચંદ્રના છે એ જ ગુણ અને ઉપયોગ દીવાના પણ છે માટે જે મળે છે એને માણતા શીખીએ…. એટલા માટે એવુ લખાય કે,
चाँद मिलता नहीं सबको सँसार में
है दिया ही बहुत रोशनी के लिए
અને જ્યારે આપણાંમાં આવી માનસિકતા કેળવાય છે ત્યારે આપણને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જીવન એ કોઈ પાછળ ખુવાર મરવા માટે નથી, જીવન એ કોઈ પાછળ વેવલાવેડા કે દેવદાસવેડા કરવા માટે નથી જીવન તો ઝળહળવા માટે છે.
વધુ આવતા શુક્રવારે….
કોલમિસ્ટ :- યુગ અગ્રાવત