રાજસ્થાન અને ગુજરાતના બ્રાહ્મણોમાં રાજકીય રમતો

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

 

અમદાવાદ :  રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીએ બ્રાહ્મણો માટે તેના ચૂંટણી ઢંઢેરામાં બ્રાહ્મણ કાર્ડ ખેલ્યું છે અને પરશુરામ બોર્ડ બનાવવા નું એલાન કર્યું છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના મહામંત્રી યજ્ઞેશ દવેએ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અમારી છેલ્લા ચાર વર્ષ જૂની માંગણી અહીં સ્વીકારાતી નથી અને રાજસ્થાનની અંદર બ્રાહ્મણોના મત ની લાલચે સરકાર દ્વારા રાજકીય રમતો રમી અને બ્રાહ્મણ બોર્ડ એટલે કે પરશુરામ બોર્ડ બનાવવાની લોભામણી જાહેરાત આપી શું સાબિત કરવા માંગે છે એ ખબર પડતી નથી.

વાસ્તવમાં રાજસ્થાન અને ગુજરાતના બ્રાહ્મણોમાં ભાજપ રાજકીય રમત રમી રહી હોવાનો ગંભીર આરોપ પણ યજ્ઞેશ દવેએ લગાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો ખરેખર ભારતીય જનતા પાર્ટીને બ્રાહ્મણોની પડી જ હોય તો ગુજરાતની અંદર અમારી ચાર વર્ષ જૂની જે માંગણી છે કે ગુજરાતના બ્રાહ્મણોના આર્થિક કલ્યાણ અને સામાજિક કલ્યાણ માટે વિકાસ બોર્ડની જાહેરાત કરવામાં આવે પણ સરકાર બહેરા કાને આ વાત કદાચ પહોંચતી નથી અથવા તો ગુજરાતમાં બ્રાહ્મણોની ભારતીય જનતા પાર્ટીને જરૂર નથી એવું લાગી રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટી આવા જ્ઞાતિ કાર્ડ ખેલી અને રાજ રમત કરી વૈમનસ્ય ઉભુ કરવાનુ કાવતરું કરી રહી છે. જો ખરેખર બ્રાહ્મણોને આપવું જ હોય તો ગુજરાતની અંદર બ્રાહ્મણ વિકાસ આયોગ અથવા તો બ્રાહ્મણ વિકાસ બોર્ડ આપે અન્યથા હજુ લોકસભાની ચૂંટણી આવી રહી છે . ગુજરાતમાં બ્રાહ્મણોના મત સાડા નવ ટકા છે. બ્રાહ્મણો તમને જીતાડી નહિ શકે તો કંઈ નહિ પરંતુ હરાવવા માટે સક્ષમ છે એટલું ધ્યાનમાં રાખજો એવી ચીમકી પણ બ્રહ્મસમાજ તરફથી યજ્ઞેશ દવેએ ભાજપ સરકારને આપી હતી.

 

 

Share This Article