Manjeet Kaur Murder Case: ચંડીગઢમાંથી અપહરણ કરી પંજાબના મોરિંડામાં જીવતી સળગાવાયેલી 28 વર્ષીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મનજીત કૌરના મોતના મામલે અત્યંત દુઃખદ અને ચોંકાવનારો ખુલાસો થયો છે. ચંડીગઢ પોલીસના જણાવ્યા અનુસાર, મોરિંડામાં બર્બરતાનો ભોગ બનેલી મનજીત કૌરનું મોત થયું ત્યારે તે લગભગ 7 અઠવાડિયાની ગર્ભવતી હતી. PGIMER ચંડીગઢમાં લગભગ 52 દિવસ સુધી જીવન અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ 26 ઓગસ્ટે સારવાર દરમિયાન મનજીતે અંતિમ શ્વાસ લીધા હતા.
પોલીસમાં નોંધાયેલી FIR મુજબ, આ ભયાનક ઘટનાની શરૂઆત 3 જુલાઈએ થઈ હતી. આરોપીઓ મનજીતને ચંડીગઢમાંથી બળજબરીપૂર્વક એક કારમાં બેસાડીને મોરિંડા લઈ ગયા હતા. આરોપ છે કે ત્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી અને ત્યારબાદ તેને ઝાડ સાથે બાંધીને આગ ચાંપી દેવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ મનજીતનો એક મિત્ર ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાંબળો નાખીને આગ બુઝાવી હતી. ત્યારબાદ મનજીતને તાત્કાલિક મોરિંડાની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને તેમને પહેલા મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ 9 જુલાઈએ PGIMER ચંડીગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લગભગ એક મહિના સુધી વેન્ટિલેટર અને બર્ન વોર્ડમાં સારવાર લીધા બાદ 5 ઓગસ્ટે મનજીત કૌરને થોડા સમય માટે હોશ આવ્યો હતો. જોકે, શરીરનો મોટો હિસ્સો ગંભીર રીતે દાઝી ગયો હોવાથી અને આંતરિક અંગોમાં ઇન્ફેક્શન ફેલાતા તેમની સ્થિતિ સતત બગડતી ગઈ. અંતે 26 ઓગસ્ટે સારવાર દરમિયાન તેમનું મોત થયું. પોલીસ રેકોર્ડ અનુસાર, મનજીત કૌરે છૂટાછેડા લીધેલા હતા અને તેમને 7 વર્ષનો એક પુત્ર છે, જે તેમના પૂર્વ પતિ સાથે રહે છે.
મનજીત કૌરની માતાની ફરિયાદના આધારે ચંડીગઢ પોલીસે બે મુખ્ય શંકાસ્પદ આરોપીઓ શુભી અને પિંડા વિરુદ્ધ અપહરણ, હત્યા અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ઘટનાના સમયથી જ બંને આરોપીઓ ફરાર છે અને પોલીસ તેમની શોધખોળ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે.
ચંડીગઢ પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ ચંડીગઢથી મોરિંડા સુધીના સમગ્ર માર્ગના CCTV ફૂટેજ તપાસી રહી છે. આ ઉપરાંત મનજીતના પરિચિતોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી અપહરણ પાછળનું મુખ્ય કારણ અને સમગ્ર ઘટનાક્રમની સાચી હકીકત જાણી શકાય. હાલમાં પરિવાર અંતિમ સંસ્કાર અને અન્ય વિધિઓમાં વ્યસ્ત હોવાથી તેમનું વિગતવાર નિવેદન નોંધવાનું બાકી છે.

